દર વર્ષે મહાશિવરાત્રીના અનુસંધાને જૂનાગઢના ભવનાથ ખાતે પાંચ દિવસનો ભવ્ય મેળો યોજાય છે. જેમાં લાખો શ્રધ્ધાળુઓ ભક્તિ અને પુણ્યનું ભાથું બાંધે છે. જૂનાગઢ એસ.ટી. ડિવીઝન દ્વારા એક્સ્ટ્રા બસોની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેથી શ્રધ્ધાળુઓને મુસાફરીમાં કોઈ અગવડતા ન પડે.
જૂનાગઢ ડિવિઝન હેઠળના વેરાવળ એસ.ટી.ડેપોએ સોમનાથથી જૂનાગઢ અને જૂનાગઢથી સોમનાથ વચ્ચે એક્સ્ટ્રા બસોનું સફળતાપૂર્વક સંચાલન કરી 6 દિવસમાં રૂૂ. 22.45 લાખની વધુની આવક રળી છે. આમ, વેરાવળ એસ.ટી.ડેપોને મહાશિવરાત્રી ફળી છે.
વેરાવળ એસ.ટી.ડેપોના મેનેજર શ્રી દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ ખાતે મહાશિવરાત્રીના મેળાના કારણે તા.22 થી 27 ફેબ્રુઆરી સુધી વેરાવળ એસ.ટી.ડેપો દ્વારા સોમનાથ-જૂનાગઢ અને જૂનાગઢ-સોમનાથ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થયું હતું.
109 એસ.ટી. વાહન દ્વારા 430 ટ્રીપ કરવામાં આવી હતી. આ 6 દિવસના એક્સ્ટ્રા બસોના સંચાલનમાં વેરાવળ એસ.ટી.ડેપોને કુલ રૂૂ. 22,45,742ની આવક થઇ છે.
