ભાવનગરમાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા મુખ્યમંત્રીનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર દર્શન સમારોહ ભાવનગર યુનિવર્સિટીના અટલ ઓડિટોરિયમ કેમ્પસમાં યોજાયો હતો. કારડીયા રાજપુત સમાજ ભાવનગર જિલ્લા નિર્મિતમા ભવાની સંસ્થાના શૈક્ષણિક સંકુલ માટે સરકાર દ્વારા જમીન અંગે વિશિષ્ટ રાહત આપવા બદલ મુખ્યમંત્રીનું રાજપુત સમાજ દ્વારા સન્માન કરી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દરેક સમસ્યાનું સમાધાન શિક્ષણ છે. સમાજના વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂૂરિયાત હોવાનું જણાવી તેમણે કહ્યું કે, શિક્ષિત સમાજથી વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરવાનું છે. આવનારા સમયમાં કોમ્પિટિશન હવે ગ્લોબલ થવાની છે ત્યારે દેશ-વિદેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દરેક ક્ષેત્રે ભારતે અનેક આયામો સર કર્યા છે.
મુખ્યમંત્રી સ્પષ્ટપણે જણાવ્યું કે, સ્વચ્છતાનો મંત્ર દરેક લોકોએ જીવનમાં ઉતારવો જોઈએ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પવસુધૈવ કુટુંબકમથ ની ભાવના સાથે દરેક સમાજને સાથે લઈને વિકાસની વાતો કરે છે. આજના સમયમાં શિક્ષણ જ કેન્દ્રસ્થાને છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ નવી શિક્ષણ નીતિ અમલી બનાવી છે. નવી શિક્ષણ નીતિના અમલથી સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દીકરીઓના ઉચ્ચ અભ્યાસ માટે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના તથા ગરીબ ઘરના દીકરાઓના ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલી છે. તેમણે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતની નેમ વ્યક્ત કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સમાજ અને સરકાર સાથે મળીને આગળ વધે તો ખુબ સારા પરિણામો મળતાં હોય છે.
તેમણે અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા તથા સામાન્ય નાગરિકો માટે રાજ્ય સરકાર હંમેશા પડખે હોવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત વ્યાજખોરોને જેલ હવાલે કરનાર પોલીસ વિભાગને અભિનંદન પાઠવ્યા હતા. કારડીયા રાજપૂત સમાજ દ્વારા તૈયાર થનાર શૈક્ષણિક સંકુલ આવનારા દિવસોમાં વિદ્યાર્થીઓને આગળ વધવા માટે નવી તક પૂરી પાડશે. તેમણે કહ્યું કે, સમાજની સાથે દેશહિત માટે રાજપુત સમાજે હંમેશા સહયોગ આપ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે મેયર ભરતભાઈ બારડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયા, આગેવાન અભયસિંહ ચૌહાણ, કારડીયા રાજપૂત સમાજ ભાવનગર જિલ્લાના પ્રમુખ નારણભાઈ મોરી, સમાજ અગ્રણી ચીથરભાઈ પરમાર સહિતના કારડીયા રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
