વાંધા-સૂચનોની મુદત પૂરી, સૌથી વધુ અમદાવાદ જિલ્લામાંથી અરજીઓ મળી
સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, જાહેર હિતને ધ્યાને લઇ જમીનના ભાવોનું સરળીકરણ અને તર્કસંગતીકરણ કરી, વૈજ્ઞાનિક પધ્ધતિ અપનાવીને વાસ્તવિક ભાવો દર્શાવતી, જંત્રી તૈયાર કરવાના દિશા નિર્દેશો આપવામાં આવ્યા હતાં.
આનુસંગિક પરિબળોનું સાપેક્ષ યોગ્ય પૃથ્થકરણ કરી, જરુરી ફેરફાર કરી મળેલ ભાવો ને ધ્યાને લઈ, શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માટે જિલ્લાવાર અલગ-અલગ ભાગમાં વિવિધ હેતુઓ માટેના ભાવોથી તૈયાર થયેલ મુસદ્દારૂૂપ જંત્રી અને માર્ગદર્શિકા તા.20/11/2024ના રોજ વાંધા-સુચન માટે પ્રસિધ્ધ કરવામાં આવી હતી.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતુ કે, શરૂૂઆતમાં પ્રસિધ્ધ કરેલ જંત્રી બાબતે વાંધા સૂચનો મંગાવવા માટે 20/12/2024 સુધીની અવધિ રાખવામાં આવી હતી. જે જાહેર હિતને ધ્યાને લઇને તા. 20/01/2025 સુધી લંબાવવામાં આવી હતી. વધુમાં ઓનલાઇનની સાથે ઓફલાઇન પણ વાંધા – સૂચનો સ્વીકારવાની વ્યવસ્થા કરાઇ હતી. આ બે મહિનામાં રાજ્ય સરકારને કુલ 11,046 જેટલા વાંધા સૂચનો મળ્યા છે. જેમાંથી 5400 જેટલા શહેરી વિસ્તારમાંથી જ્યારે 5600 થી વધુ ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે.
વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, જંત્રી દર ઓછા કરવા માટે કુલ 6753 , જંત્રી દર ખુબ જ ઓછા છે તે વધારવા માટે કુલ 1755, સર્વે નંબર ખોટા વેલ્યુઝોનમાં સમાવેશ કરવા 94, સર્વે નંબરનો સમાવેશ જંત્રી માં થયેલ ન હોય તેવી 268 અને 2176 જેટલા અન્ય વાંધા – સૂચનોની અરજી રાજ્ય સરકારને મળી છે. જેમાંથી સૌથી વધારે અમદાવાદ જિલ્લામાંથી 2,179અને સૌથી ઓછી તાપી જિલ્લામાંથી કુલ 07 જેટલી વિવિધ વાંધા-અરજી મળી છે.
હવે આ વાંધા – સૂચનોના નિકાલ માટે જિલ્લા કક્ષાએ નાયબ કલેકટર સ્ટેમ્પ ડ્યુટી દ્વારા મળેલ સૂચનોની પ્રાથમિક ચકાસણી કરીને જિલ્લા કક્ષાની સમીતિમાં આખરી નિર્ણય માટે મોકલવાની કામગીરી હાથ ધરાશે. જે સમગ્ર પ્રક્રિયા 15 દિવસમાં પૂર્ણ કરીને રાજ્ય સરકારને મોકલવામાં આવશે.
