rajkot
જસદણમાં ડાઘિયાઓનો આતંક, એક દિવસમાં 18ને બચકાં ભર્યા
જસદણ શહેરમાં અનેક વિસ્તારોમાં કૂતરાઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. છેલ્લા એક મહિનાથી કુતરાઓએ જસદણ શહેરમાં આતંક મચાવ્યો છે.
જસદણના ટાવર ચોક, છત્રી બજાર, મેઈન બજાર, મોતી ચોક, હાઈસ્કૂલ રોડ સહિતના અનેક વિસ્તારોમાં રખડતા કૂતરાઓની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. ખાસ કરીને રાત્રે 8 વાગ્યા બાદ અંધારું થતાં બાઈક લઈને પસાર થતાં તેમજ ચાલીને પસાર થતા લોકોને કૂતરાઓ કરડે છે. જસદણ શહેરમાં શનિવારે એક જ દિવસમાં જુદી જુદી 11 વ્યક્તિઓને વિવિધ વિસ્તારમાં કુતરા કરડતા તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને કુતરુ કરડતા આપવા પાત્ર ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. જે લોકોને કુતરા કરડીયા હતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ભારે યાતનાનો સામનો કરવો પડ્યો હતો. જસદણ શહેરના અનેક વિસ્તારોમાં કૂતરાઓએ આંતક મચાવ્યો છે. આ ઉપરાંત કુતરાઓ ઘણી વખત કરડયા પહેલા બાઈક ચાલકની પાછળ દોડતા હોવાથી બાઇક સ્લીપ થવા સહિતના અકસ્માતનો પણ ભય રહે છે. પાલિકા તંત્ર રખડતા કૂતરાઓને પકડીને યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોની લાગણી અને માગણી છે.