મુસ્લિમ દેશોના સૌથી મોટા સંગઠન, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન (OIC)એ જમ્મુ-કાશ્મીરનું નામ લઈને ફરી એકવાર ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરી છે. OICએ તેના તાજેતરના નિવેદનમાં કાશ્મીરમાં જનમત સંગ્રહની માંગ કરતા કહ્યું છે કે તે કાશ્મીરના લોકોના ’આત્મનિર્ણયના અધિકાર’નું સમર્થન કરે છે.
ઉલ્લેખનીય છે કે ભારતે અગાઉ ઘણી વખત સ્પષ્ટ કર્યું છે કે આ સંગઠનને ભારતના આંતરિક મામલાઓમાં બોલવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી અને OIC દ્વારા આવા નિવેદનોને ક્યારેય સ્વીકારવામાં આવશે નહીં. OIC (ઈસ્લામિક સહયોગ સંગઠન) એ 57 દેશોનું એક આંતર-સરકારી સંગઠન છે જે મુસ્લિમ સમૂહ હોવાનો દાવે કરે છે. OICએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર પોતાનું નિવેદન શેર કર્યું હતું. તેમાં લખ્યું હતું કે, ‘OIC, 5 જાન્યુઆરી, 1949ના સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવની વર્ષગાંઠ પર, એક સ્વતંત્ર અને નિષ્પક્ષ જનમત સંગ્રહ દ્વારા, જમ્મુ અને કાશ્મીરના લોકોના આત્મનિર્ણયના અધિકારને સમર્થન આપે છે.
OIC એ કાશ્મીર મુદ્દે ફરી એકવાર આકરું વલણ અપનાવતા જમ્મુ-કાશ્મીરમાં લોકમત (રેફરન્ડમ) યોજવાની માંગ કરી છે. સંગઠનના જનરલ સેક્રેટરિએટે 1949ના સંયુક્ત રાષ્ટ્રના જૂના પ્રસ્તાવનો હવાલો આપતા જણાવ્યું છે કે, ‘કાશ્મીરની જનતાને સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ મુક્ત અને નિષ્પક્ષ રીતે પોતાનો નિર્ણય લેવાનો અધિકાર મળવો જોઈએ. વધુમાં, OICએ કાશ્મીરી લોકો પ્રત્યે પોતાનું સમર્થન જાહેર કરતા ભારત સરકારને અપીલ કરી છે કે, ‘5 ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 હટાવવા સહિતના જે પણ એકતરફી નિર્ણયો લેવામાં આવ્યા છે, તેને તાત્કાલિક પરત ખેંચવામાં આવે અને જમ્મુ-કાશ્મીરની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતાનું સન્માન કરવામાં આવે.’
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે, ‘જનરલ સેક્રેટરિએટ જમ્મુ-કાશ્મીરના લોકો સાથે પોતાની સંપૂર્ણ એકતા દર્શાવે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે જમ્મુ-કાશ્મીરના રાજ્ય તરીકેની માન્યતાનું સન્માન કરવા અને 5 ઓગસ્ટ, 2019 અને ત્યારપછી લેવાયેલા તમામ એકપક્ષીય પગલાંને પાછા ખેંચવાની અપીલ કરે છે.’ આ નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્રને પણ અપીલ કરવામાં આવી છે કે તે જમ્મુ-કાશ્મીર સાથે સંબંધિત પ્રસ્તાવોને લાગુ કરે અને ઞગજઈના સંબંધિત પ્રસ્તાવો અનુસાર જમ્મુ-કાશ્મીર વિવાદનો ઉકેલ લાવે.
