આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. રાઘવ ચઢ્ઢાએ AAP છોડવાની જાહેરાત કરી દીધી છે.તેમણે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે પાર્ટીના બે-તૃતીયાંશ સાંસદો સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છું.
તેમણે કહ્યું કે જે આમ આદમી પાર્ટીને મેં મારા લોહી-પરસેવાથી સિંચી હતી. તે પાર્ટી પોતાના લક્ષ્યોથી ભટકી ગઈ છે. આ પાર્ટી પોતાના અંગત ફાયદા માટે કામ કરી રહી છે.
દિલ્હીમાં સંદીપ પાઠક અને અશોક મિત્તલ સાથે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ(2/3) સભ્યોએ ભારતીય બંધારણની જોગવાઈઓનો ઉપયોગ કરીને ભારતીય જનતા પાર્ટી(BJP) સાથે જોડાવાનો નિર્ણય કર્યો છે. આ જાહેરાત બાદ રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આ જૂથમાં રાઘવ ચઢ્ઢા સાથે જોડાનારા ઘણા અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે, જેમ કે હરભજન સિંહ, સ્વાતિ માલીવાલ, રાજેન્દ્ર ગુપ્તા, સંદીપ પાઠક, વિક્રમજીત સાહની અને અશોક મિત્તલ. AAP હાલમાં રાજ્યસભામાં 10 બેઠકો ધરાવે છે – પંજાબમાંથી 7 અને દિલ્હીમાંથી 3.
તેમણે વધુમાં ઉમેર્યું, “મેં AAP ને મારા પોતાના લોહી અને પરસેવાથી ઉછેર્યું, મારી યુવાનીનાં 15 વર્ષ તેને સમર્પિત કર્યા; છતાં, પક્ષ હવે તેના સિદ્ધાંતો, મૂલ્યો અને મુખ્ય નીતિશાસ્ત્રથી દૂર થઈ ગયો છે. આ પક્ષ હવે રાષ્ટ્રીય હિતમાં કામ કરતો નથી, પરંતુ પોતાના અંગત લાભ માટે કામ કરે છે.
છેલ્લા એક વર્ષથી પક્ષની ગતિવિધિઓથી દૂર રહેવાનું કારણ જણાવતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ‘હું પાર્ટીના ખોટા કાર્યો અને ગુનાઓમાં સહભાગી બનવા માંગતો નહોતો. આથી હું આ પક્ષથી અલગ થઈ રહ્યો છું અને મારી સાથે આમ આદમી પાર્ટીના બે તૃતીયાંશ (2/3) સાંસદો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે.
