શિંદેને CM બનતા અટકાવવા રાજરમત: ભાજપ મૌન

એનસીપીના અજિત પવાર ફડણવીસને સીએમ બનાવવાની તરફેણમાં: શિંદે બીજી વખત સરકારની કમાન સંભાળવા ઇચ્છે છે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ…

એનસીપીના અજિત પવાર ફડણવીસને સીએમ બનાવવાની તરફેણમાં: શિંદે બીજી વખત સરકારની કમાન સંભાળવા ઇચ્છે છે


મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોને ત્રણ દિવસ વીતી ગયા છે, પરંતુ આજે પણ નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી નથી. પૂર્વ મુખ્યપ્રધાન એકનાથ શિંદેના સમર્થકો તેમને ફરીથી મુખ્યપ્રધાન બનાવવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. જ્યારે અગાઉની સરકારમાં નાયબ મુખ્યપ્રધાન રહી ચૂકેલા અજિત પવાર જૂથે કહ્યું છે કે તેઓ મુખ્ય પ્રધાન પદ માટે દેવેન્દ્ર ફડણવીસને સમર્થન આપશે. પરંતુ 132 બેઠકો સાથે મહાગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી ભાજપમાં હજુ પણ મૌન છે. ભાજપના ધારાસભ્ય દળના નેતાની પણ હજુ સુધી પસંદગી કરવામાં આવી નથી.


આજે, એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, પાંચ અપક્ષ ધારાસભ્યોએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. તેમના સમર્થનથી ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધીને 137 થઈ ગઈ છે. હવે સરકાર બનાવવા માટે જરૂૂરી 145 ધારાસભ્યોમાંથી માત્ર આઠ જ ઓછા છે. જ્યારે અજિત પવારની એનસીપીએ પહેલાથી જ ભાજપના દેવેન્દ્ર ફડણવીસને મુખ્યમંત્રી પદ માટે સમર્થન આપ્યું છે.


એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે સ્પષ્ટ કહ્યું છે કે જો શિંદેને મુખ્યમંત્રી બનાવવામાં આવશે તો તેમની પાર્ટી પણ અજિત પવારના નામ પર દાવો કરશે, કારણ કે તેમની પાર્ટીનો સ્ટ્રાઈક રેટ શિવસેના કરતા વધારે છે. ભુજબળનું નિવેદન સૂચવે છે કે અજિત પવાર ઇચ્છતા નથી કે એકનાથ શિંદે ફરીથી મુખ્યમંત્રી બને અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે તેમની નીચે કામ કરવું પડશે.
બીજી તરફ શિંદે જૂથ 57 બેઠકો જીત્યા બાદ પોતાના નેતાને મુખ્યમંત્રી બનાવવાનો આગ્રહ કરી રહ્યો છે. તેમનું કહેવું છે કે બિહારની જેમ મહારાષ્ટ્રમાં પણ નાના સહયોગી પક્ષને મુખ્યમંત્રી પદ આપીને ઉદારતા દાખવવી જોઈએ. બીજેપીના વરિષ્ઠ નેતા રાવસાહેબ દાનવે પાટીલે શિવસેનાની દલીલને ફગાવી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *