બિહારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માતાને કોંગ્રેસના મંચ પરથી ગાળ અપાઈ એ શરમજનક ઘટના તાજી છે ત્યાં બિહાર કોંગ્રેસે મોદી અને મોદીનાં માતા હીરાબાના સંવાદનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા જનરેટ કરાયેલો વીડિયો મૂકીને ફરી નીચ હરકત કરી છે.
ભાજપે આ વીડિયો સામે વાંધો લઈને કોંગ્રેસ ગાંધીવાદીના બદલે ’ગાલીવાદી’ પાર્ટી બની ગઈ હોવાનો આક્ષેપ કર્યો છે ત્યારે આઘાતજનક રીતે કોંગ્રેસે આ વીડિયોનો બચાવ કર્યો છે. ભાજપનું કહેવું છે કે, મોદીનાં માતા હીરાબાને ચૂંટણીના રાજકારણમાં ઢસડીને કોંગ્રેસ સાવ નીચલી પાયરીએ ઉતરી ગઈ છે. સામે કોંગ્રેસના મીડિયા ઈન્ચાર્જ પવન ખેરાએ સવાલ કર્યો છે કે, એક માતા પોતાના પુત્રને ખખડાવે કે શિખામણ આપે તેમાં અપમાનજનક શું છે ? ખેરાના બકવાસ અને કોંગ્રેસની નીચતાની વાત કરતાં પહેલાં બિહાર કોંગ્રેસે મૂકેલા વીડિયોમાં શું છે તેની વાત કરી લઈએ. બિહાર કોંગ્રેસના એક્સ એકાઉન્ટ પર મુકાયેલા 36 સેક્ધડના વીડિયોની શરૂૂઆત મોદી સૂવા માટે પથારી તરફ જઈ રહ્યા હોય એવા સીનથી થાય છે. મોદી પથારી તરફ જતાં જતાં બોલે છે કે, આજની વોટચોરી પતી ગઈ છે.
હવે સૂવા જાઉં છું. બીજા સીનમાં મોદી પથારી પર સૂતા દેખાય છે અને મોદીને સપનામાં માતા હીરાબા દેખાય છે. હીરાબા મોદીને ખખડાવે છે અને કહે છે કે, પહેલાં તો તેં મને નોટબંધીની લાંબી લાઈનમાં ઊભી રાખી, તેં મારા પગ ધોવાની રીલ બનાવડાવી અને હવે બિહારમાં મારા નામે રાજકારણ રમી રહ્યા છો, તું મારા અપમાનનાં બેનર અને પોસ્ટર્સ છપાવડાવી રહ્યો છે. તું બિહારમાં ફરી નૌટંકી કરવાની કોશિશ કરી રહ્યો છે. રાજકારણ રમવા માટે હજુ કેટલો નીચે ઉતરીશ ? આ સાંભળીને મોદી અચાનક જાગી જાય છે અને આમતેમ જોવા લાગે છે એ સાથે જ રીલ પૂરી થાય છે. મીડિયાનો એક વર્ગ વીડિયોમાં મોદી જેવો દેખાતો પુરુષ અને હીરાબા જેવાં દેખાતાં વૃદ્ધા હોવાનો ઉલ્લેખ કરે છે પણ બંને પાત્રો મોદી કે હીરાબા જેવાં દેખાતાં નથી પણ મોદી અને હીરાબા જ છે.
કોંગ્રેસે પોતે આ વાત સ્વીકારી છે તેથી વીડિયો વિશે કોઈ ગેરસમજમાં રહેવા જેવું નથી. આ વીડિયો મોદી અને હીરાબાનો જ છે અને વીડિયોમાં મુકાયેલો કાલ્પનિક સંવાદ મોદી-હીરાબા વચ્ચે થયો છે એવું બતાવવા માટે જ કોંગ્રેસે આ વીડિયો બનાવડાવ્યો છે એ વિશે કોંગ્રેસ બિલકુલ સ્પષ્ટ છે. કોંગ્રેસનો બચાવ છે કે, વીડિયોમાં કશું વાંધાજનક નથી ને મોદીનાં માતા હીરાબા વિશે અપમાનજનક શબ્દો નથી. આ વાત સાવ સાચી છે પણ સવાલ એ છે કે, ચૂંટણી પ્રચારમાં હીરાબાને ઢસડવાની શું જરૂૂર? હીરાબા ગુજરી ગયાં છે, હયાત નથી ને જીવ્યાં ત્યાં લગી રાજકારણ સાથે તેમને નાહવા-નિચોવવાનો સંબંધ નહોતો એ જોતાં તેમને રાજકારણથી દૂર જ રાખવાં જોઈએ. કોંગ્રેસ મોદી પર પ્રહાર કરે તેમાં કશું ખોટું નથી પણ તેના માટે મોદીનાં માતાના નકલી વીડિયોનો ઉપયોગ કરવો એ હલકી માનસિકતા કહેવાય.
