આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશમાં હિંદુઓની માફી માગતી સરકાર

Published

on

તોફાનીઓને શસ્ત્રો જમા કરાવવા 19મી સુધીની મહેતલ, મંદિરો- મકાનોના વળતર અને બાંધકામ માટે આર્થિક મદદની જાહેરાત


બાંગ્લાદેશમાં હિંદુઓ પર થયેલા હુમલા અને મંદિરોની તોડફોડ માટે નવી સરકારે માફી માંગી છે. ગૃહ મંત્રાલયના વડા બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) મુહમ્મદ સખાવત હુસૈને જણાવ્યું હતું કે સરકાર ગયા અઠવાડિયે થયેલી હિંસા માટે ખેદ વ્યક્ત કરે છે જેમાં હિંદુઓ પર ઘણી જગ્યાએ હુમલા કરવામાં આવ્યા હતા. આ હિંસામાં જે લોકોને નુકસાન થયું છે અને જે મંદિરો તોડી પાડવામાં આવ્યા છે અથવા સળગાવી દેવામાં આવ્યા છે તેમના વળતર અને બાંધકામ માટે સરકાર આર્થિક મદદ કરશે.


વચગાળાના વડા પ્રધાન મુહમ્મદ યુનુસ મંગળવારે હિંસાથી પ્રભાવિત સમુદાયના અગ્રણી લોકોને મળશે. તેમણે લઘુમતીઓને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી પણ આપી છે. નોંધનીય છે કે યુનુસને તેમના અભિનંદન સંદેશમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હિંદુઓ પરના હુમલાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને રોકવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.


બાંગ્લાદેશમાં 4, 5 અને 6 ઓગસ્ટના રોજ વડા પ્રધાન પદેથી શેખ હસીનાના રાજીનામાની માંગને લઈને ભારે હિંસા થઈ હતી. આ હિંસામાં સરકારી ઈમારતો ઉપરાંત ગુંડા તત્વોના નિશાના પર અવામી લીગના નેતાઓ અને હિન્દુઓ હતા. આ સમયગાળા દરમિયાન, હિંદુઓના ઘરો, વેપારી સંસ્થાઓ અને મંદિરો પર મોટા પાયે હુમલા થયા હતા. આ હુમલાઓમાં બે લોકોના મોત થયા હતા અને 45 લોકો ઘાયલ થયા હતા. સમગ્ર વિશ્વમાં આ હુમલાની નિંદા કરવામાં આવી છે.


સખાવત હુસૈને જણાવ્યું હતું કે સરકાર દ્વારા જન્માષ્ટમી, દુર્ગા પૂજા અને અન્ય તહેવારો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે જેથી કરીને તમામ કાર્યક્રમોનું ઉત્સાહપૂર્વક આયોજન કરી શકાય. સરકાર લઘુમતીઓના રક્ષણમાં કોઈ કસર છોડશે નહીં.


બાંગ્લાદેશની વચગાળાની સરકારમાં ધાર્મિક બાબતોનું મંત્રાલય સંભાળી રહેલા અઋખ ખાલિદ હુસૈને કહ્યું છે કે વર્તમાન સરકાર દેશમાં સાંપ્રદાયિક સૌહાર્દની તરફેણમાં છે અને લઘુમતીઓ પરના હુમલાની નિંદા કરે છે. લઘુમતીઓ પર હુમલો કરનારા ગુંડા તત્વો હતા અને સરકાર તેમની સામે કાર્યવાહી કરશે.
દરમિયાન પોલીસકર્મીઓએ હડતાળ ખતમ કરીને ફરજ પર પરત ફરવાની જાહેરાત કરી છે. જેના કારણે જાહેર સ્થળો પર તૈનાત સેના બેરેકમાં પરત ફરી ગઈ છે. સોમવારે, બાંગ્લાદેશ બેંકના વધુ બે ડેપ્યુટી ગવર્નરો અને નાણાકીય ગુપ્તચર એકમના વડાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યું. આ સિવાય બાંગ્લાદેશ બેંકના એક સલાહકારે પણ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. બેંક ગવર્નર અબ્દુર રઉફ તાલુકદરે શુક્રવારે રાજીનામું આપી દીધું હતું.


બાંગ્લાદેશ સરકારે તમામ દેખાવકારોને તેમના હથિયારો પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા કહ્યું છે. વચગાળાની સરકારમાં ગૃહ મંત્રાલયના પ્રભારી સલાહકાર બ્રિગેડિયર જનરલ (નિવૃત્ત) એમ સખાવત હુસૈને આંદોલન દરમિયાન ઉપયોગમાં લેવાયેલા અને લૂંટેલા તમામ શસ્ત્રો 19 ઓગસ્ટ સુધીમાં જમા કરાવવા જણાવ્યું છે. આમાંથી ઘણા હથિયારો પોલીસ સ્ટેશનો અને પોલીસકર્મીઓના શસ્ત્રાગારમાંથી લૂંટી લેવામાં આવ્યા છે.
હુસૈને કહ્યું છે કે જો 19 ઓગસ્ટ સુધીમાં નજીકના પોલીસ સ્ટેશનમાં હથિયારો જમા કરાવવામાં નહીં આવે તો સરકાર સર્ચ ઓપરેશન શરૂૂ કરશે અને શસ્ત્રો કબજે કરવામાં આવેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version