rajkot
વકીલોના ખાતામાંથી લાખો રૂપિયા ઉપાડી લેનાર ગેંગ ઝડપાઇ
રાજકોટ શહેરમાં અગાઉ રેવન્યુની પ્રેક્ટીસ કરતા વકીલોના ખાતામાંથી એક મહિનામાં બે-બે વખત 10-10 હજાર મળી 18થી વધુ જેટલા વકીલોના ખાતામાંથી લાખોની રોકડ રકમ બારોબાર ઉપડી ગયાની વકીલોને જાણ થતા સબરજીસ્ટ્રર સમક્ષ રજૂઆત કરી ગુજરાત સરકારના ગરવી સોફ્ટવેર હેક થયાનો આક્ષેપ કર્યો હતો.જ્યારે અમુક વકીલોએ આ બનાવ સંદર્ભે સાઈબર ક્રાઇમમાં પણ ફરિયાદ કરતા સનસનાટી મચી ગઈ હતી.
આ બનાવમાં અગાઉ શહેરમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા અનેક વકીલના ખાતામાંથી ગઠિયાએ નાણાં ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. રેવન્યુ બાર એસો. દ્વારા રજિસ્ટ્રાર,પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતનાઓને આ અંગે રજૂઆત કરી હતી. બેંક ઓફ બરોડામાં એકાઉન્ટ ધરાવતા અને સાયબર ફ્રોડથી રૂૂ.10 હજાર ગુમાવનાર રેવન્યુ પ્રેક્ટિસ કરતા એડવોકેટ ભાવિનભાઇ મગનભાઇ મારડિયાએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેઓ ઉપરાંત અન્ય 18 વકીલોના બેંક ખાતામાંથી કુલ રૂૂ.3,12,485ની રકમ ઉપડી ગયાનું ફરિયાદમાં જણાવ્યું હતુ.
આ બનાવમાં સાયબર ક્રાઇમના એસીપી વિશાલ રબારીની રાહબરીમાં પીઆઇ કે.જે.મકવાણા,એએસઆઈ વિવેકકુમાર કુછડીયા,સંજયભાઈ ઠાકર, પ્રદીપભાઈ કોટડ, રાહુલભાઈ અને હરેશભાઈ સહિતના સ્ટાફે કરેલી તપાસ મુજબ ટેક્નિકલ એનાલિસિસને આધારે જે ખાતામાં નાણાં જમા થયા તે રાજસ્થાનના બિકાનેરની બેન્કનું હોવાનું ખુલતા પોલીસની ટીમોએ 10 દિવસ સુધી રાત-દીવસ સતત મહેનત કરી કૈલાશ કાનારામ ઉપાધ્યાય (રહે. શનિચર મંદીર પુગલ રોડ સર્જી મંડીની પાછળ બિકાનેર રાજસ્થાન) અને મનોજ રાજુરામ કુમ્હાર (રહે.603 ડી પુરાના શિવ મંદીર વોર્ડ નં.2 બંગલા નગર બિકાનેર રાજસ્થાન)ને પકડી લીધા હતા.
સાયબર ક્રાઇમમાંથી જાણવા મળ્યું હતું કે આ બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરતા દિવસ ચારના રિમાન્ડ મળ્યા હતા.તેમજ આ ગુન્હાનો મુખ્ય સૂત્રધાર પકડવા વધુ એક ટીમ રાજસ્થાન રવાના થઈ છે.