કેરળના ત્રિશૂરમાં ગમખ્વાર અકસ્માત: ફૂટપાથ પર સૂઈ રહેલા લોકોને કચડી નાખ્યા, 5ના મોત

કેરળના ત્રિશૂરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. કન્નુરથી લાકડા લઈ જતી ટ્રક હાઈવે પર બેકાબૂ થઈ ગઈ હતી. ટ્રકે ડિવાઈડર તોડીને રોડ કિનારે સૂતેલા…

કેરળના ત્રિશૂરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. કન્નુરથી લાકડા લઈ જતી ટ્રક હાઈવે પર બેકાબૂ થઈ ગઈ હતી. ટ્રકે ડિવાઈડર તોડીને રોડ કિનારે સૂતેલા લોકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 11 લોકો ઘાયલ પણ થયા છે.

આ અકસ્માત આજે સવારે 3.50 કલાકે થયો હતો. મૃતકોમાં કાલિયપ્પન (50), બંગાઝી (20), નાગમ્મા (39), જીવન (4) અને વિશ્વા (1)નો સમાવેશ થાય છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

એક ઇજાગ્રસ્તે પોલીસને જાણ કરી હતી. કોડુંગલ્લુરના નાયબ પોલીસ અધિક્ષક વીકે રાજુ અને વાલાપાડ પોલીસ સ્ટેશનના પ્રભારી એમકે રમેશ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસે ટ્રક સાથે મુસાફરી કરી રહેલા યુવકો એહિયાકુનીલ એલેક્સ (33) અને ચમકલાચિરા (54)ને કસ્ટડીમાં લીધા છે. પોલીસ બંનેની પૂછપરછ કરી રહી છે. આ બંને કન્નુરના રહેવાસી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકોના પરિવારજનોને માહિતી મોકલી દેવામાં આવી છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો તેમને સોંપવામાં આવશે. પોલીસ શોધી રહી છે કે આ અકસ્માત શા માટે થયો? પોલીસ તપાસ કરી રહી છે કે ટ્રકમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી ડ્રાઈવરની ભૂલને કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. થોડીવાર માટે વટેમાર્ગુઓનું ટોળું એકઠું થયું હતું. પોલીસે ટ્રક કબજે કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *