દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે બુધવારે પ્રકાશક પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાને નોટિસ ફટકારીને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના અપ્રકાશિત પુસ્તકના સોશિયલ મીડિયા પર પ્રસાર અંગે સ્પષ્ટતા માંગી છે, એમ પીટીઆઈએ એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું. ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિનીની સ્થિતિ અંગેના દાવાઓનો વિરોધ વચ્ચે આ નોટિસ આવી છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે પુસ્તકનું અનધિકૃત સંસ્કરણ પ્રસારમાં છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા પુસ્તકનું એક સંસ્કરણ સંસદમાં લાવવામાં આવ્યું અને સરકાર પાસેથી પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે વિવાદ ઉભો થયો. પોલીસના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલે નોટિસ દ્વારા ઔપચારિક રીતે પ્રકાશન ગૃહનો સંપર્ક કર્યો છે. તેણે વિગતવાર જવાબો મેળવવા માટે ઘણા પ્રશ્નો પૂછ્યા છે.
“દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પેંગ્વિન ઇન્ડિયાને નોટિસ ફટકારી છે. નોટિસ દ્વારા ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે અને જવાબો માંગવામાં આવ્યા છે,” એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પીટીઆઈને જણાવ્યું. હસ્તપ્રતના અનધિકૃત પ્રસાર અંગેના આરોપો બાદ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી હતી, જેના કારણે તપાસ શરૂૂ થઈ હતી.
પેંગ્વિન ઈન્ડિયાએ હમણાં જ સ્પષ્ટતા કરી હતી કે શ્રી નરવણેના પુસ્તકના તમામ અધિકારો તેની પાસે છે અને હજુ સુધી એક પણ નકલ છાપીને બહાર આપવામાં આવી નથી. આ પુસ્તકનો વિવાદ થયા પછી એની લાખો નકલની ડિમાન્ડ હોવા છતાં સંરક્ષણ મંત્રાલય ઉપરાંત સંબંધિત વિવિધ કેન્દ્રીય એજન્સીઓની મંજુરી વિના આ પુસ્તક પ્રગટ થઈ શકે એમ નથી. જો કે જેને લોકપ્રિય પુસ્તકોની બ્લેક માર્કેટ કહેવાય છે તેમાં આ પુસ્તકના કેટલાક અંશો ઉપલબ્ધ છે અને કેટલીક વેબસાઈટ પર પણ આ પુસ્તકના મહત્ અંશો ઉપલબ્ધ છે.
