Uncategorized
મોટા સમાચાર / મહારાષ્ટ્રમાં જૂની પેન્શન યોજના અંગે નાયબ મુખ્યમંત્રીએ આપ્યું નિવેદન, કહ્યું – આગામી બજેટ સત્ર પહેલાં લેવાશે નિર્ણય
મહારાષ્ટ્રમાં જૂની પેન્શન યોજના (OPS)ને પુનઃસ્થાપિત કરવા માંગ કરી રહેલ સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી અજિત પવારે ગુરુવારે કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ખાતરી આપી છે કે આગામી બજેટ સત્ર પહેલાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.
જણાવી દઈએ કે, રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર સામાન્ય રીતે દર વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં થાય છે.
નાગપુરમાં વિધાન ભવન સંકુલમાં પત્રકારોને પવારે OPSની માંગણી કરી રહેલા સરકારી કર્મચારીઓના પ્રતિનિધિઓ સાથેની તેમની વાતચીત વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, સરકારને આ માંગ પર વિચાર કરવા માટે રચાયેલી સમિતિનો રિપોર્ટ મળ્યો છે.
આ છે OPS
મહારાષ્ટ્રમાં ઘણા સરકારી અને અર્ધ-સરકારી કર્મચારીઓ ઓપીએસને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે, જે રાજ્યમાં 2005 માં બંધ કરવામાં આવી હતી. OPS હેઠળ, સરકારી કર્મચારીને તેના છેલ્લા પગારના 50 ટકા જેટલું માસિક પેન્શન મળતું હતું. તે સમયે કર્મચારીઓના ફાળાની જરૂર ન હતી.
આ છે નવી પેન્શન યોજના
નવી પેન્શન યોજના હેઠળ, રાજ્ય સરકારના કર્મચારીઓ તેમના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 10 ટકા યોગદાન આપે છે અને તે જ હિસ્સો સરકાર દ્વારા ફાળો આપવામાં આવે છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મંજૂર કરાયેલા વિવિધ પેન્શન ફંડમાં આ નાણાંનું રોકાણ કરવામાં આવે છે અને તે મની માર્કેટ સાથે જોડાયેલ છે.
પવારે કહ્યું કે, વરિષ્ઠ સરકારી અધિકારીઓ કર્મચારી નેતાઓ સાથે પણ વાત કરશે.