ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા 2026 માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂૂ થઈ ગઈ છે. હવે શ્રદ્ધાળુઓ ઘરે બેઠા મોબાઈલ, કમ્પ્યુટર, મોબાઈલ એપ કે વોટ્સએપ દ્વારા પણ યાત્રા માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ વર્ષે ચારધામ યાત્રાની શરૂૂઆત 19 એપ્રિલથી થઈ રહી છે. પરંપરા અનુસાર આ જ દિવસે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ શ્રદ્ધાળુઓ માટે ખુલશે. ત્યારબાદ 22 એપ્રિલે કેદારનાથ ધામ અને 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખોલવામાં આવશે.
હાલમાં સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂૂ કર્યું છે, જ્યારે ઓફલાઈન રજીસ્ટ્રેશન 17 એપ્રિલથી શરૂૂ કરવામાં આવશે. યાત્રા શરૂૂ થતા પહેલા હરિદ્વાર, ઋષિકેશ સહિત અનેક મુખ્ય સ્થળોએ બાયોમેટ્રિક રજીસ્ટ્રેશન કાઉન્ટર લગાવવામાં આવશે, જેથી જે શ્રદ્ધાળુઓ પાસે ઇન્ટરનેટની સુવિધા નથી તેઓ પણ સરળતાથી નોંધણી કરાવી શકે. જો કોઈ યાત્રીને ઓનલાઈન રજીસ્ટ્રેશનમાં મુશ્કેલી આવે છે અથવા યાત્રા સંબંધિત માહિતી જોઈતી હોય, તો તે 0135-1364 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે.
