rajkot

રાજકોટ નજીક વધુ એક સેન્ટ્રલ જેલ બનશે

Published

on

રાજકોટની મધ્યમાં આવેલ સેન્ટ્રલ જેલમાં સૌરાષ્ટ્રભરમાંથી કેદીઓને રાખવામાં આવે છે જેના કારણે જેલમાં કેદીઓનો ભરાવો વધી ગયો છે. ક્ષમતા કરતાં બમણી સંખ્યામાં કેદીઓ સેન્ટ્રેલ જેલમાં ઠાસી ઠાસીને ભરવામા આવ્યા હોય કેદીઓને પણ પુરતી સગવડતા મળી રહે તે માટે વધુ એક સેન્ટ્રલ જેલ બનાવવા માટે કલેકટર સમક્ષ જમીનની માંગણી કરવામાં આવી છે ત્યારે કલેકટર તંત્ર દ્વારા ન્યારા ખાતે 62 એકર જમીનની દરખાસ્ત તૈયાર કરી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે.
રાજકોટની સેન્ટ્રલ જેલમાં ક્ષમતા કરતાં બમણી સંખ્યામાં કેદીઓનો ભરાવો થઈ ગયો છે. હાલમા રાજકોટની સેન્ટ્રલ જેલમાં 2300 થી વધુ કેદીઓ હોવાનું જેમાં 1200થી વધુ કેદીઓ સજા ભોગવી રહ્યાં છે અને બાકીના કાચા કામના કેદીઓ હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટની સેન્ટ્રલ જેલમાં 1230 કેદીઓની ક્ષમતા છે જેની સામે સજા ભોગવતાં અને કાચા કામના કેદીઓ મળી 1500 થી વધુ કેદીઓનો ભરાવો થઈ ગયો છે.
જેલ તંત્ર દ્વારા કેદીઓની સગવડતા માટે રાજકોટમાં વધુ એક સેન્ટ્રલ જેલનું બિલ્ડીંગ બનાવવા માટેની દરખાસ્ત તૈયાર કરી જમીનની માંગણી માટે જિલ્લા કલેકટરને દરખાસ્ત મોકલી આપવામાં આવી છે. આ દરખાસ્તને ધ્યાને લઈ કલેકટર પ્રભવ જોષીના આદેશથી પડધરી તાલુકા મામલતદારે સર્વે કરી ન્યારા ગામે આવેલ સરકારી ખરાબાની62 એકર જમીન સેન્ટ્રેલ જેલ બનાવવા માટે યોગ્ય હોવાનું જણાવી આ અંગેની દરખાસ્ત તૈયારી કરી રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે.
રાજકોટની સેન્ટ્રલ જેલમાં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રનાં સજા ભોગવતાં મોટાભાગનાં કેદીઓને રાખવામાં આવે છે. જેમાં ગુજસીટોક, લેન્ડ ગ્રેબીંગ, હત્યા, બળાત્કારની સજા ભોગવતાં આરોપીઓ પણ આ જેલમાં રાખવામાં આવ્યા છે જેના કારણે સેન્ટ્રલ જેલમાં ક્ષમતા કરતાં કેદીઓની સંખ્યા બમણી થઈ જતાં જેલ તંત્રને પણ ભારે હાલાકી ભોગવવી પડે છે.

સજા ભોગવતા કેદીઓની દયાની અરજી પર કાલે વધુ સુનાવણી

રાજકોટની સેન્ટ્રલ જેલમાં 14 વર્ષથી વધુ સમયથી સજા ભોગવતાં જુદા જુદા 70 જેટલા કેદીઓએ સારી ચાલચલગતના આધારે રહેમ રાહે દયાની અરજી કરવામાં આવી છે. કલેકટરના અધ્યક્ષસ્થાને બનેલી કમીટી સમક્ષ આ દયાની અરજી કરવામાં આવી છે. જેમાં શનિવારે 35 જેટલા કેદીઓની દયાની અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આવતીકાલ બાકીના વધુ 35 કેદીઓની દયાની અરજી પર સુનાવણી હાથ ધરી ત્યારબાદ ગૃહવિભાગને અહેવાલ સુપ્રત કરી દેવામાં આવશે જેના આધારે કેદીઓને સજામાંથી મુક્તિ આપવી કે કેમ ? તે અંગેનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version