નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ના એક મહત્વપૂર્ણ સહયોગી પક્ષના વરિષ્ઠ નેતાએ નામ ન આપવાની શરતે ખુલાસો કર્યો છે કે, સપ્ટેમ્બર મહિનાના ઉત્તરાધમાં સંસદનું વિશેષ સત્ર યોજાઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ નેતૃત્વ સાથે અમારી આ વિશેષ સત્ર અંગે ટૂંકી ચર્ચા થઈ છે. અમને કહેવામાં આવ્યું છે કે સત્ર 24 થી 26 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની સંભાવના છે.
એનડીએના અન્ય એક મુખ્ય ઘટક પક્ષે પણ પુષ્ટિ કરી છે કે તેમને પણ આ સંભવિત વિશેષ સત્ર અંગે આંતરિક રીતે માહિતગાર કરવામાં આવ્યા છે. જેથી કરીને સરકાર પોતાની રણનીતિ મુજબ બિલને સંસદમાં રજૂ કરીને કાનૂની રૂૂપ આપી શકે.
એક તરફ રાજકીય વર્તુળોમાં સત્રની ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે, તો બીજી તરફ સંસદના અધિકારીઓ આ મામલે હજુ કશું પણ કહેવાનું ટાળી રહ્યા છે. સંસદીય સચિવાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી વિશેષ સત્ર માટેની તૈયારીઓ કરવા સંબંધિત હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના કે નિર્દેશ મળ્યા નથી.
બીજી તરફ, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસે સરકાર પર સિક્રસી જાળવવાનો અને વિપક્ષને અંધારામાં રાખવાનો આરોપ લગાવ્યો છે. મીડિયામાં રિપોર્ટ્સ વહેતા થયા હતા કે કિરેન રિજિજુએ કોંગ્રેસ નેતૃત્વનો સંપર્ક કર્યો છે, પરંતુ કોંગ્રેસના ઉચ્ચ સૂત્રોએ આ અહેવાલોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા છે.
