ગુજરાત
રેલનગરમાં ફ્રુટના વેપારીને ધંધાખારમાં ત્રણ મિત્રોએ છરીના ઘા ઝીંકી દીધા
હુમલા બાદ આરોપીઓ નાસી છૂટતા ઇજાગ્રસ્ત વેપારી આરોપીનું બાઇક લઇ હોસ્પિટલે પહોંચ્યો
શહેરનાં રેલનગર વિસ્તારમાં આવેલા સાધુવાસવાણી કુંજ રોડ પર ફ્રુટના વેપારીને ધંધાખારમાં ત્રણ મિત્રોએ છરીના ઘા ઝીંકી દીધા હતા. આરોપીઓ હુમલો કરી બાઇક મુકી નાસી છૂટતા ઇજાગ્રસ્ત વેપારી આરોપીનું બાઇક લઇ સિવિલ હોસ્ેિપટલે સારવાર માટે પહોંચ્યો હતો. આ અંગે પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ પરથી તેના ત્રણ મિત્રો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ પોપટપરા શેરી નં.15માં રહેતો અને ફ્રૂટનો ધંધો કરતો કપિલ મોહનભાઇ પંજાબી (ઉ.વ.32)નામનો સિંધી યુવાન ગઇકાલે રાત્રે રેલનગરમાં સાધુવાસવાણી કુંજ રોડ પર ચાલીને જતો હતો ત્યારે અલત્તાફ ખિયાણી, ભાવેશ કુંભર અને ભાભાએ છરી વડે હુમલો કરી સાથળના ભાગે તથા શરીરે છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલો કર્યા બાદ આરોપીઓ તેનું બાઇક મુકી નાશી છુટતા ઇજાગ્રસ્ત કપીલ આરોપીનું બાઇક લઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. જ્યાં તબીબીઓ દ્વારા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસમાં આરોપીઓ તેના મિત્રો જ હોય અને અગાઉ બધા સાથે બાજુ બાજુમાં રેકડી રાખી ફ્રૂટનો ધંધો કરતા હતા. પરંતુ કપિલને તેની સાથે જામતું ન હોવાથી તે અલગ રેકડી રાખી ધંધો કરતો હોય. જેનો ખાર રાખી આરોપીઓએ છરી વડે હુમલો ર્ક્યાનું જાણવા મળ્યું છે. આ અંગે પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ પઢીયાર અને કોન્સ્ટેબલ પ્રશાંત ચુડાસમાએ ઇજાગ્રસ્ત કપિલની ફરિયાદ પરથી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.