લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે ગૃહમાં બંધારણ પર ચર્ચામાં ભાગ લીધો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં દ્રોણાચાર્ય અને એકલવ્યનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જે રીતે દ્રોણાચાર્યએ એકલવ્યનો અંગૂઠો કાપ્યો હતો, તેવી જ રીતે તમે ભારતના યુવાનોનો અંગૂઠો કાપો છો. જ્યારે તમે ધારાવીને અદાણીને વેચો છો, ત્યારે તમે ધારાવીના લોકોનો અંગૂઠો કાપો છો. જ્યારે તમે અદાણીને મદદ કરો છો, ત્યારે તમે દેશના લોકોને અંગૂઠો કાપો છો. રાહુલ ગાંધીએ કહ્યું, અમે બતાવવા માંગીએ છીએ કે તમે દેશમાં જાતિ ગણતરી દ્વારા કોનો અંગૂઠો કાપ્યો છે. અમે આરક્ષણ મર્યાદાની 50 ટકા દિવાલને પણ તોડી પાડીશું.
રાહુલ ગાંધીએ હાથરસનો મુદ્દો ઉઠાવ્યો હતો. હાથરસ રેપ કેસને લઈને યુપીની યોગી સરકાર પણ રાહુલના નિશાના પર હતી. રાહુલે કહ્યું કે, હાથરસમાં ચાર વર્ષ પહેલા એક દલિત છોકરી પર બળાત્કાર થયો હતો. ગુનેગારો બહાર ફરતા હોય છે જ્યારે પીડિત પરિવાર જેલવાસની જીંદગી જીવે છે આ બંધારણમાં ક્યાં લખ્યું છે? મનુસ્મૃતિ યુપીમાં લાગુ છે, બંધારણ નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે, બંધારણમાં આંબેડકર અને ગાંધી નેહરુના વિચારો છે. તે વિચારોના સ્ત્રોત શિવ, બુદ્ધ, મહાવીર, કબીર વગેરે હતા. તેમણે કહ્યું કે, બંધારણ વિશે સાવરકરે કહ્યું હતું કે બંધારણની સૌથી ખરાબ વાત એ છે કે તેમાં ભારતીય કંઈ નથી. તેની જગ્યાએ મનુસ્મૃતિ લાગુ થવી જોઈએ જ્યારે તમે બંધારણ બચાવવાની વાત કરો છો ત્યારે તમે તમારા નેતા સાવરકરની મજાક ઉડાવો છો.
