rajkot
રાજકોટમાં 4 માસમાં બેંક ડિફોલ્ટરોની 343 કરોડની મિલકત જપ્તીમાં લેવાઈ
રાજકોટ શહેર જિલ્લામાં જુદી જુદી બેંકોમાંથી મિલકત મોર્ગેજ કરી લોન મેળવ્યા બાદ બેંકના હપ્તા કે વ્યાજ નહીં ચુકવતાં બેંક ડિફોલ્ડરો સામે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ ઝુંબેશ શરૂ કરાવી છે ત્યારે છેલ્લા ચાર મહિનામાં રાજકોટ શહેર જિલ્લામાંથી બેંક ડિફોલ્ડરોની કુલ 343 કરોડની મિલકત જપ્ત કરીને સપાટો બોલાવી દીધો છે.
રાજકોટ શહેર અને જિલ્લાની જુદી જુદી બેંકોમાંથી વેપારીઓ દ્વારા મકાન, ફલેટ, દુકાન, પ્લોટ સહિતની મિલકત મોર્ગેજ કરી ગીરવે મુકી લોન મેળવી લીધા બાદ બેંકના હપ્તા નહીં ભરતાં હોય આ અંગે જિલ્લા કલેકટર પાસે બેંક અધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જેના આધારે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ બેંક ડિફોલ્ડરો સામે કડક કાર્યવાહી શરૂ કરવા તમામ મામલતદારોને આદેશ આપ્યા છે.
રાજકોટ શહેર જિલ્લામાં છેલ્લા ચાર મહિનામાં કુલ 3,43,68,86,0802ની 211 મિલકતોને સીલ મારી જપ્તીમાં લઈ બેંકને આગળની કાર્યવાહી માટે સુપ્રત કરવામાં આવી છે. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પૂર્વ મામલતદાર, રાજકોટ પશ્ર્ચિમ મામલતદાર, રાજકોટ દક્ષિણ મામલતદાર અને રાજકોટ તાલુકા મામલતદાર અને જસદણ મામલતદાર દ્વારા આ કામગીરી કરવામાં આવી છે.
જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ બેંક ડિફોલ્ડરો સામે ઝુંબેશ હાથ ધરવા માટે અને આવા કેસોના ઝડપી નિકાલ માટે તા.14-8-2023ના વધારાના નવા બે નાયબ મામલતદારોની સિકયોર્ડ એસેટ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેઓ મિલકતના કબજા બેંકને સોંપવાની કામગીરી કરી રહ્યાં છે.
આરબીઆઈ દ્વારા બેંક સંબંધીત કેસોને ઝડપી નિકાલ લાવવા માટે અને બેંકોનું એનપીએ ઓછું થાય તે માટે બાકીદારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે ત્યારે જિલ્લા કલેકટરે સિકયોરિટી ઈન્ટરેસ્ટ એકટ 2002ની કલમ 13(2) અન્વયે 60 દિવસની આદેશાત્મક નોટિસ બાકીદારોને ફટકારવામાં આવે છે અને આ 60 દિવસના મુદત દરમિયાન પણ કોઈ બાકીદાર બેંકના હપ્તા કે લોન નહીં ભરે તો મામલતદાર દ્વારા બેંકના અધિકારીઓને પોલીસ પ્રોટેકશન સાથે બાકીદારોની મિલકતો જપ્તીમાં લેવાની કાર્યવાહી કરવામાં આવે છે.