rajkot
ગોંડલના ભોજપરાના સરપંચના પતિએ આત્મ વિલોપનની ચીમકી આપતા તંત્રએ માંગ સ્વીકારી
ગોંડલ તાલુકાના ભોજપરા ગામે સ્વામિત્વ યોજનામાં રહેલી ક્ષતિઓ મામલે ત્યાંના મહિલા સરપંચના પતિ વિપુલભાઈ પરમારે આત્મવિલોપનની ચીમકી આપી હતી, જેના પગલે તંત્રમાં પણ દોડધામ મચી ગઇ હતી અને ક્ષતિઓ દૂર કરવાની માંગ સ્વીકારવામાં આવી હતી.
શનિવારે ભોજપરાના પૂર્વ સરપંચ અને હાલના મહિલા સરપંચના પતિ વિપુલભાઈએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે,તેના ગામમાં પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયેલી સ્વામિત્વ યોજના બાબતે કામગીરી કરાઈ હતી.જેમાં ક્ષતિઓ રાખી દેવાતા પેઢી દર પેઢી વર્ષોથી જે લોકો જુના મકાનોમાં રહે છે તેમને સર્વેથી બહાર રાખી દેવાયા છે.આશરે 30 મકાનમાં આવું થયું છે.ક્ષતિ દૂર કરવા જવાબદાર અધિકારીઓને રજુઆત કરી પણ યોગ્ય કરવામાં આવ્યા નહીં.જેથી કલેકટરને જાણ કરી સોમવારે આત્મવિલોપન કરશે તેવું જણાવ્યું હતું.જોકે વિપુલભાઈની ચીમકી બાદ માધ્યમોમાં સમાચાર પ્રસિદ્ધ થતા તંત્ર દોડતું થયું હતું.
ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી રહી ગયેલી ક્ષતિ દૂર કરવા ગોંડલ સિટી સર્વે સુપ્રિન્ટેનડેન્ટએ લેખિતમાં બાંહેધરી આપી અને આત્મવિલોપન ન કરવા વિનંતી કરી હતી.તંત્ર દ્વારા માંગ સ્વીકારી ક્ષતિ દૂર કરવાની બાંહેધરી આપતા વિપુલભાઈએ પોલીસ સમક્ષ નિવેદન નોંધાવી પોતાની માંગ સ્વીકારવામાં આવી હોવાથી હવે આત્મવિલોપન નહીં કરે તેવી જાહેરાત કરી હતી.તેઓએ લડતમાં સહકાર આપનાર ગ્રામજનો,આગેવાનો અને મીડિયાનો આભાર માન્યો હતો.તેમજ તુરંત યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપવા બદલ સરકાર અને ઉચ્ચ અધિકારીઓનો આભાર માન્યો હતો.