ગુજરાત

હાર્ટએટેકનો ઉપાડો: રાજકોટમાં મહિલા વેપારી સહિત બેના હાર્ટફેલ

Published

on

શાકભાજી વેચતા પ્રૌઢા અને આધેડને આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં મહિલા વેપારી સહિત બેના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા છે. જેમાં દૂધની ડેરી પાસે શાકભાજી વેચતા ચુનારાવાડના પ્રૌઢા અને મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા આધેડ હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. પ્રૌઢા અને આધેડના મોતથી બન્ને પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટમાં ચુનારાવાડ ચોકમાં આવેલા શિવાજીનગરમાં રહેતા સમજુબેન દેવજીભાઈ ચાવડા નામના 55 વર્ષના પ્રૌઢા બપોરના એકાદ વાગ્યાના અરસામાં દૂધની ડેરી પાસે શાકભાજી વેચતા હતાં ત્યારે સમજુબેન ચાવડાને હૃદયરોગનો હુમલો આવતાં બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. સમજુબેન ચાવડાને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃતજાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.


આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં પરસોતભાઈ ગાંડુભાઈ જાખેણીયા નામના 52 વર્ષના આધેડ બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતાં. આધેડને બેભાન હાલતમાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી પરસોતમભાઈ જાખેણીયાને હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હોવાનું જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક પરસોત્તમભાઈને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. પરસોત્તમભાઈ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. પરસોતમભાઈનું હૃદયરોગના હુમલાથી મોત થયાનું જાણવા મળ્યું છે. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version