ગુજરાત
યાત્રાધામ દ્વારકાના વિકાસ માટે કમિટીની રચના કરતી રાજ્ય સરકાર
અધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી, સેક્રેટરી તરીકે જિલ્લા કલેક્ટર રહેશે
દ્વારકા યાત્રાધામના વિકાસ માટેની વિશેષ કમિટીના અધ્યક્ષપદે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે. જયારે સદસ્યોમાં મેમ્બર સેક્રેટરી પદે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર તેમજ સદસ્યો તરીકે દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણી, સ્થાનીય ધારાસભ્ય પબુભા માણેક અને સચિવ કક્ષા અધિકારીગણમાં રાજય ચીફ સેક્રેટરી, એડીશનલ ચીફ સેક્રેટરી (રેવન્યુ) અને એડીશનલ ચીફ સેક્રેટરી (ફાઈનાન્સ) તથા પ્રીન્સીપાલ સેક્રેટરી અર્બન ડેવલોપમેન્ટ અને અર્બન હાઉસીંગ ડેવલોપમેન્ટ તેમજ સેક્રેટરી ટુરીઝમ દેવસ્થાન મેનેજમેન્ટ અને સિવિલ એવીએશન અને પીલગ્રીમેજ અને કમીશન ઓફ મ્યુનીસીપાલીટીઝ, એડમીનીસ્ટ્રેશન વગેરેનો સમાવેશ કરાયો છે.
અત્રે નોંધનીય છે કે દેશના તીર્થ ક્ષેત્રોના વિકાસ માટે રાજય અને કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ છે જેમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ ગણાતી યાત્રાધામ દ્વારકાને વધુને વધુ સુવિધાસભર બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી અંગત રસ લઈ રહયા છે ત્યારે આગામી સમયમાં દ્વારકા કોરીડોરનું નિર્માણ કરી આધ્યાત્મિક નગરીના સર્વાંગી વિકાસ સાથે વિશ્વફલક પર ધર્મભૂમિને ગ્લોબલ ટુરીઝમ હબ તરીકેનું મહત્વનું સ્થાન મળે તે દિશામાં પગલાં લેવામાં આવનાર છે ત્યારે આ કમીટીની રચનાથી આ દિશામાં પાયો નાખવાની પ્રક્રિયા થતાં આ સમિતિ આગામી વિકાસકાર્યોમાં ચાવીરૂૂપ ભૂમિકા ભજવતી જોવા મળશે.
ચાલુ વર્ષે ફેબ્રુઆરી માસમાં બેટ દ્વારકાને જમીન માર્ગે જોડતા સુદર્શન સેતુના લોકાર્પણ સમયે પ્રધાનમંત્રીએ દ્વારકાના વિકાસને વેગ આપવાના સંકેતો આપ્યા હતા. જે પછી દ્વારકા કોરીડોર પ્રોજેકટ સબંધે તબકકાવાર મીટીંગ – આયોજનો યોજયા બાદ રાજ્ય સરકાર દ્વારા કમિટીની રચના કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા દ્વારકા નગરપાલીકા, ઓખા નગરપાલીકા, બેટ દ્વારકા તેમજ શિવરાજપુર બીચ સહિતના વિસ્તારોના સર્વાગી વિકાસ માટે અલાયદી સત્તામંડળની રચનાની જાહેરાત કરાઈ છે જેની અમલવારી માટે પણ પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે. દ્વારકા કોરીડોર પ્રોજેકટ અંગે તબકકાવાર કામગીરી થશે દ્વારકા કોરીડોર પ્રોજેકટના અમલીકરણ માટેના પાયારૂૂપ કામગીરી અંગે ક્ષસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર પ્રથમ તબકકામાં દ્વારકાધીશ મંદિર આસપાસના 50 મીટરના વિસ્તારમાં વિકાસકાર્યોનો પ્રારંભ કરાશે જે અંગે ટૂંક સમયમાં કામગીરીનો પ્રારંભ થઈ શકે તેવી સંભાવના જોવાઈ રહી છે.
આગામી સમયમાં સમગ્ર વિકાસકાર્યોમાં પ્રમુખ સ્થાને દ્વારકા કોરીડોર પ્રોજેકટ રહેશે તેમજ તબકકાવાર વિકાસકાર્યો હાથ ધરવામાં આવનાર હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. સરકારની દ્વારકા કોરીડોરના વિકાસ માટેની પ્રતિબધ્ધતા અને એ દિશામાં ચાલતી કામગીરી પરથી આગામી સમયમાં દ્વારકા ક્ષેત્ર યાત્રાધામ દ્વારકા તથા બેટ દ્વારકા તેમજ શિવરાજપુર બીચ સહિતના મહત્વના સ્થળોને સાંકળતું ધાર્મિક તેમજ પ્રવાસનલક્ષી સુવિધાઓ ધરાવતું હબ બની જશે તેવું માનવામાં આવી રહયુ છે.