ગુજરાત

સિગારેટનું વ્યસન નહીં છૂટતા સાવરકુંડલાના ડોક્ટરનો આપઘાત

Published

on

ચોટીલાની હોટલમાં ગળાફાંસો ખાઇ લીધો, સ્યૂસાઇડ નોટ પણ મળી

શ્રાવણ માસ અને સ્વાતંત્ર્ય પર્વની વહેલી સવારે ચોટીલાનાં ખાનગી ગેસ્ટ હાઉસમાં ઉતરેલા સાવરકુંડલાનાં શિવભક્ત તબીબે ગળાફાંસો ખાઈ લેતા ચકચાર જાગી છે. વ્યસનો ના છૂટતા દૂનિયા છોડયાની પાંચ પાનાની સ્યૂસાઈડ નોટ મળતા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.14મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ ચોટીલા હાઇવે ઉપરનાં ખાનગી ગેસ્ટ હાઉસના રૂૂમમાં ઉતરેલા યાત્રીકને સવારે જગાડવાનાં સમયે દરવાજો ના ખોલતા બીજી ચાવીથી રૂૂમ ખોલતા યાત્રિક ઓછાડને ફાડી પંખે લટકતી હાલતમાં જોવા મળતા ગેસ્ટ હાઉસનો સ્ટાફ અવાચક બની ગયો હતો વળી, રૂમમાં લટકતી હાલત તેમજ ટીંગાડેલ દવાનો બાટલો પણ ચડાવેલો હોવાનું જોવા મળતા પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો.


આત્મઘાતી પગલું ભરનાર સાવરકુંડલા ખાતે જેસર રોડ ઉપર સંજીવની ક્લિનિક વાળા ડો. જે. જે. ઊનાવા ઉર્ફે જશ, જયસુખભાઈ (ઉ.વ.43) હોવાનું ખુલતા પરિવારજનોને જાણ કરતા સગા સંબંધી ચોટીલા દોડી આવ્યા હતા. આપઘાત કરતા પહેલા ચોટીલા ડુંગર ઉપર માતાજીનાં અંતિમ દર્શન કર્યા હતા અને માતાજીની તસવીર સોશ્યલ મિડીયામાં અપડેટ કરી પરિવારજનો, મિત્રો સહિતનાને ડિસ્ક્રીપ્શન પેપરમાં પાંચ પેઇઝની સુસાઈડનોટનો અંતિમ પત્ર લખી અને જીવન ટૂંકાવી લીધું હતું. સારી નામના ધરાવતા 43 વર્ષિય તબીબે આપઘાત કરી લેતા પત્ની અને પુત્રએ છત્રછાયા ગુમાવી છે. પોલીસે આ પગલા અંગે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.


સુસાઈડ નોટમાં મૃતક તબીબે લખ્યું હતું કે, પુજ્ય પપ્પા, માફ કરશો. હું થાકી ગયો છું. 2 વર્ષથી હું બરાબર સુતો નથી. હવે આરામથી સુવું છે. તમારા, કોઈનો કોઈ વાંક નથી.બસ હું સાવ થાકી ગયો છું. મે કોઈનું કાંઈ બગાડયું નથી,ભુલથી બગડી ગયું હોય તો માફ કરશો. અને મારૂૂ કોઈએ કાંઈ બગાડયું નથી.હું કોઈનો દોષ નથી કાઢતો હું મારી જવાબદારીથી ભાગી રહ્યો છું એ માટે બધા માફ કરશો.મારા બધા સગા-વહાલા, મિત્રો, દદીઓ – ભુલચુક માફ કરજો. વધુમાં લખ્યું છે કે, મારા કોળીસમાજનું ઇનામ વિતરણ નજદિક આવે છે.એ બંધ ના રાખતા,સારો ઉજવશો અને સમાજના દિકરી દિકરાને મારો સંદેશો વ્યસનથી દુર રહેજો અને પરિવારનું ધ્યાન રાખજો.સમાજનાં જે ભાગલા થયા છે એ માટે માફી માંગું છું,એ બધું ભુલીને બધા એક થઈ જાવ.


બધા સાથે હળીમળીને રહો.કુટુંબના ઝગડા ભુલી જાવ અને સંપ થી રહો એવી બધાને બે હાથ જોડી પ્રાર્થના.આ સાથે અંતમાં લખ્યું હતું કે, કેદારનાથ બાબા તથા દાદાબાપુ મારાથી વ્યસનના છુટી શક્યા એટલે હું જ દુનિયા છોડું છું.માફ કરશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version