ગુજરાત

RK યુનિવર્સિટીના ફાર્મસીના વિદ્યાર્થીનો હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત

Published

on

અમરેલી પંથકનો છાત્ર રાત્રે હોસ્ટેલમાં ગણેશ મહોત્ત્સવની તૈયારી કરતો હતો ત્યારે રૂમમાં જઇ ભરેલું પગલું: મોબાઇલ કોલ ડિટેલ્સના આધારે તપાસ

શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર આવેલી ત્રંબા નજીક આર.કે.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અમરેલી પંથકના ફાર્મસીના છાત્રએ હોસ્ટેલના રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ગત મોડી રાત્રે છાત્રો હોસ્ટેલમાં ગણેશ મહોત્સવની તૈયારી કરતા હતા. દરમિયાન મૃતક યુવાને પોતાના રૂમમાં જઇ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવી લીધુ હતું. આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકની કોલ ડિટેલ્સના આધારે તપાસ હાથ ધરી છે.


જાણવા મળતી વિગત મુજબ, મુળ અમરેલી પંથકનો અને હાલ આર.કે.યુનિવર્સિટીની હોસ્ટેલમાં પાંચમાં માળે રૂમમાં રહેતો અને ફાર્મસીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો નીખીલ દીપકભાઇ સોલંકી (ઉ.વ.20)નામના છાત્રએ ગઇકાલે મોડી રાત્રે પોતાના રૂમમાં પંખા સાથે ચાદર બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.મૃતક નીખીલ તેના ગામડે ગયો હતો જ્યાંથી બે દિવસ પહેલા જ પરત આવ્યો હતો. શનિવારથી ગણેશ મહોત્સવ શરૂ થઇ રહ્યો હોય જેથી ગત રાત્રે નીખિલ સહિતના છાત્રો હોસ્ટેલના ગ્રાઉન્ડમાં ગણેશ મહોત્સવના પંડાલ શણગારવાની તૈયારી કરી રહ્યા હતા. દરમિયાન નિખિલ હોસ્ટેલના પાંચમાં માળે જતો રહ્યો હોય.


જેથી બાજુના રૂમમાં રહેતો તેનો મિત્ર નિખીલને બોલવવા ગયો હતો. ત્યારે દરવાજો ખટખટાવવા છતા તે દરવાજો ખૂલતો ન હોય જેથી હોસ્ટલેના ગૃહપતિને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને રૂમના વેન્ટીલેશનમાંથી જોતા નીખીલ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો.

બનાવની જાણ થતા 108નો સ્ટાફ દોડી ગયો હતો અને તેને મૃત જાહેર કરી આજીડેમ પોલીસને જાણ કરતા હેડ કોન્સ્ટેબલ જયદેવભાઇ બોસિયા અને રાઇટર પ્રતાપભાઇ સહિતનો સ્ટાફ હોસ્ટેલ ઉપર દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતકના પરિવારને જાણ કરવામાં આવી હતી. પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આપઘાતનું કારણ જાણવા મૃતકના મોબાઇલ કોલ ડિટેલ્સના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version