અમરેલી
અમરેલીના રામપરા ગામે સિંહોના ધામા : ગ્રામજનોમાં ભયનો માહોલ
સરપંચે વનમંત્રીને રજૂઆત કરતાં ફોરેસ્ટ વિભાગ હરકતમાં આવ્યું
અમરેલીના રાજુલા તાલુકાના રામપરા ગામમાં આજે સતત બીજા દિવસે સિંહે ધામા નાખતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. રામપરા ગામમાં લોકોના ઘરના આંગણા પાસે જ બે સિંહોએ પશુનું મારણ કર્યું હતું. સિંહના મારણનોવીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ પણ રામપરા ગામમાં પહોંચી હતી.
અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે જંગલ વિસ્તાર નજીકના ગામોમાં સિંહ અવારનવાર ચડી આવતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. રાજુલા તાલુકાના રામપરા ગામમા ંસતત બે દિવસથી સિંહ આવી ચડતા ગામલોકોમાં ફફડાટ ફેલાયો છે. ગતરાત્રિએ ગામમાં આવેલા બે સિંહોએ ત્રણ પશુઓનું મારણ કરતા ગામલોકોમાં ડરનો માહોલ છવાયો છે.
ગઈકાલે જ રાજુલાના રામપરા ગામના સરપંચ છનાભાઈ વાઘ દ્વારા રાજય સરકારના વનમંત્રી મુળુ બેરા સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. સરપંચની રજૂઆતના બીજા દિવસે પણ ગામમાં સિંહ આવ્યાનો વીડિયો સામે આવ્યો છે. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ રામપરા દોડી ગઈ હતી અને સિંહને જંગલ વિસ્તાર તરફ ખસેડ્યા હતા.