rajkot
સર્વેશ્વર વોંકળા દુર્ઘટનામાં અંતે સહાય જાહેર કરાઈ
સર્વેશ્વર વોંકળા દૂર્ઘટનાને ત્રણ માસ જેટલો સમય થવા જાય છે ત્યારે હજુ સુધી દુર્ઘટનાની તપાસમાં પણ મનપા ફીફા ખાંડી રહી છે. ત્યારે તંત્રની બેદરકારીના કારણે દુર્ઘટનામાં મૃત્યુ પામેલ અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓને વળતર મળવું જોઈએ તેવું કોંગ્રેસને વારંવારની રજૂઆતને ધ્યાને લઈ હવે રહી રહીને મેયર દ્વારા સર્વેશ્વર ચોક દુર્ઘટનામાં મૃત્યુ પામનાર વ્યક્તિને રૂપિયા ચાર લાખ અને ઈજાગ્રસ્તોને રૂા. 50 હજાર વળતર ચુકવવાની જાહેરાત કરવામા આવી છે.
મહાનગરપાલિકા દ્વારા વોકળા ઉપર મંજુરી આપી બાંધકામ થવા દીધેલ ત્યાર બાદ સર્વેશ્વર ચોકમાં વોકળાની છત તુટી પડતા એક મહિલાનું મૃત્યુ નિપજેલ અને 25 વ્યક્તિઓને નાની-મોટી ઈજા થઈ હતી. આ દુર્ઘટના ક્યા કારણોસર સર્જાઈ તે અંગેની તપાસ કરતા વોકળાની છત નબળી હોવાનું બહાર આવેલ આથી આ દુર્ઘટનામાં તંત્રની જવાબદારી બને છે.
તેમ જણાવી કોંગ્રેસ દ્વારા દુર્ઘટનાના મૃતક અને ઈજાગ્રસ્તોને સરકારી વળતર મળવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવેલ જે અંગે મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા વળતર આપવું કે નહીં તેવી ચર્ચામાં ત્રણ માસ જેટલો સમય વીતાવી આજે વધુ હોબાળો ન થાય તે માટે વળતર ચુકવવાની જાહેરાત કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકાનાં મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, ડો.યાજ્ઞિક રોડ પર આવેલ સર્વેશ્વર ચોક ખાતે શિવમ કોમ્પલેક્ષની બાજુમાં આવેલ વોકળા પર બાંધવામાં આવેલ સ્લેબ ધરાશાયી થતા અકસ્માતે 1 વ્યક્તિ મૃત્યું પામેલ અને 25 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયેલ. આ ઘટનામાં મૃત્યું પામનાર 1 વ્યક્તિને રૂૂ.4/- લાખ તથા ઈજાગ્રસ્ત થયેલ 25 વ્યક્તિઓ(દરેક)ને રૂૂ.50/- હજારની આર્થિક સહાય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચુકવવા અંગે સંવેદનશીલ નિર્ણય કરવામાં આવેલ છે. આગામી દિવસોમાં આ તમામ વ્યક્તિઓને સહાય ચુકવવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.