ગુજરાત
ગોકુલનગરની રેશનિંગનું અનાજ બારોબાર વેચવાનું કૌભાંડ
પૂરવઠા અધિકારી દ્વારા શરૂ કરાઈ તપાસ, અધિકારીઓ હપ્તો લેતા હોવાનો દુકાનદારનો આક્ષેપ
શહેરના ગોકુલનગર ભોલેનાથ સોસાયટીમાં સસ્તા અનાજની દુકાન ચલાવતાં દુકાનદાર બારોબાર સરકારી અનાજ વેચી નાખતો હોય જે બાબતે તેનું સ્ટીંગ ઓપરેશન કરી પર્દાફાશ કરતાં આ કૌભાંડની પુરવઠા વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ વિવાદમાં આવી ચુકેલા સસ્તા અનાજના દુકાનદારનો ચાર લાખનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. ફરી વખત આ સસ્તા અનાજના દુકાનદાર વિવાદમાં આવતાં ભારે ચર્ચા જાગી છે. બીજી તરફ આ મામલે દુકાનદારે પુરવઠા વિભાગનો સ્ટ્ાફ હપ્તા લેતાં હોવાનો આક્ષેપ કર્યો છે.
શહેરના ગોકુલનગરમાં ભોલેનાથ સોસાયટીમાં સસ્તા અનાજના પરવાનેદાર ગોપાલ અમૃતિયા પોતાના દુકાનનું સરકારી અનાજ ગરીબોને આપવાના બદલે બારોબાર વેંચી નાખતો હોવાની માહિતીના આધારે એક ખાનગી ચેનલ દ્વારા સ્ટીંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ મામલે કલેકટરનું ધ્યાન દોરવામાં આવતાં કલેકટર પ્રભવ જોષી દ્વારા પુરવઠા વિભાગને તપાસના આદેશ આપ્યા છે. છકડામાં સસ્તા અનાજના ઘઉં, ચોખા અને કઠોળ બારોબાર લઈ જતાં છકડા રીક્ષાના ચાલકની પુછપરછના આધારે આ કૌભાંડ બહાર આવ્યું હતું. અગાઉ પણ ગોપાલ અમૃતિયા સસ્તા અનાજને બારોબાર વેચી નાખતો હોવાની ફરિયાદો થઈ હતી અને ચાર લાખનો અનાજનો જથ્થો સીઝ કરાયો હતો. સસ્તા અનાજના પરવાનેદાર ગોપાલ અમૃતિયાએ પણ પુરવઠા વિભાગનો સ્ટાફ હપ્તો લેતો હોવાનો આક્ષેપ કરતાં આ મામલે પણ કલેકટરે તપાસના આદેશ આપ્યા છે.