ગુજરાત
ખંભાળિયામાં રૂા.50 હજારના 10 લાખ પડાવ્યા પછી પણ વ્યાજખોરે માગ્યા રૂા.50 લાખ
ખંભાળિયાના ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા 10 ટકા વ્યાજ વસૂલી, વ્યાજ સહિત રૂપિયા 50 લાખની માંગણી કરીને એક આસામીને તેમના પુત્રને મારી નાખવાની ઘમકી આપી, પઠાણી ઉઘરાણી કરવા બાબતે ધોરણસર પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
આ સમગ્ર પ્રકરણની વિગત એવી છે કે ખંભાળિયામાં સલાયા રેલવે ફાટક પાસે આવેલા રંગીલા હનુમાન મંદિર પાસે રહેતા અને શાકભાજીનો વ્યવસાય કરતા લગધીરભાઈ સોમાભાઈ ભોજાણી નામના 66 વર્ષના વૃદ્ધે વર્ષ 2006માં અહીંના ગાયત્રીનગર વિસ્તારમાં આવેલી શ્રીનાથજી સ્કૂલ પાસે રહેતા દેવુ ખીમા રૂડાચ નામના શખ્સ પાસેથી 10 ટકાના વ્યાજ દરથી રૂપિયા 50,000 લીધા હતા. વ્યાજના પૈસા બાબતે આરોપી દેવુ રૂૂડાચે ફરિયાદી લગધીરભાઈ ભોજાણીની માલિકીની અત્રે ખાટલાધાર વિસ્તાર – ભાડથર ખાતે આવેલી જમીનનું નોટરી રૂબરૂ લખાણ કરાવી લીધું હતું.
આ સમયગાળા દરમિયાન આરોપી દ્વારા અવાર-નવાર વ્યાજ ઉઘરાવીને 15-06-2024 સુધીના સમયગાળા દરમિયાન વ્યાજ સહિત રૂ.10,00,000 ની રકમ આપી દીધી હોવા છતાં પણ આરોપીએ આજથી આશરે દોઢેક માસ પહેલા ફરિયાદી અહીંના પોરબંદર રોડ ઉપર ચાલીને જતી વખતે બળજબરીપૂર્વક પૈસા પડાવી લેવાના ઈરાદાથી રૂૂપિયા 50 લાખની રકમ વ્યાજની ચડી ગઈ હોવાનું જણાવીને આ રકમની માંગણી કરી હતી. જો આ રકમ તેઓ ન ચૂકવે તો તેમની ખાટલાધાર વાળી જમીન આરોપીએ પોતાના નામે કરી લેવાનું કહી, જો પૈસા અથવા જમીન નામે નહીં કરી આપે તો ફરીયાદી લગધીરભાઈ તથા તેમના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી, બિભત્સ ગાળો કાઢી, અવારનવાર વ્યાજની ઉઘરાણી કરવામાં આવતી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે લગધીરભાઈ ભોજાણીની ફરિયાદ પરથી આરોપી દેવુ ખીમા રૂૂડાચ સામે આઈ.પી.સી. કલમ 386, 504, 506 (2) તથા મની લેન્ડર્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ડી.જી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભોગાતના પ્રૌઢનું વીજશોકથી મોત
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા નુંધાભાઈ દેવાભાઈ સુવા નામના 50 વર્ષના આહિર આધેડ પોતાની વાડીએ પાણી માટેની ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. જેના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર જગુભાઈ સુવાએ કલ્યાણપુર પોલીસને કરી છે.