આંતરરાષ્ટ્રીય

બાંગ્લાદેશ સરકારે અદાણી જૂથ સામે મોરચો ખોલ્યો: રૂા.3993 કરોડનું પેમેન્ટ અટક્યું

Published

on

નવેમ્બર’17માં અદાણી પાવર (ઝારખંડ) પાસેથી 25 વર્ષ સુધી વીજળી ખરીદવા કરાર થયા હતા

બાંગ્લાદેશની નવી વચગાળાની સરકાર હવે ભારત સાથે જોડાયેલા વ્યવસાયોની તપાસ કરવાની તૈયારી કરી રહી છે. આમાં અદાણી ગ્રુપનું નામ પણ સામેલ છે. આ અંતર્ગત વીજ કરારની તપાસ થવાની હોવાનું જાણવા મળે છે. અગાઉ એવું કહેવામાં આવી રહ્યું હતું કે મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકાર તપાસ બાદ ભારત સાથેના અગાઉના કરારોને પણ ખતમ કરી શકે છે. ઓગસ્ટની શરૂૂઆતમાં હિંસા બાદ તત્કાલિન વડાપ્રધાન શેખ હસીનાની સરકાર પડી ગઈ હતી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, વચગાળાની સરકાર 2017માં અદાણી જૂથ સાથે થયેલા કરારની પણ તપાસ કરશે, જેના હેઠળ ઝારખંડ યુનિટમાંથી વીજળી પૂરી પાડવામાં આવે છે.


રિપોર્ટ અનુસાર, વચગાળાની સરકાર કરારની શરતો જાણવા માંગે છે અને એ પણ જાણવા માંગે છે કે તેના માટે ચૂકવવામાં આવતી કિંમત વ્યાજબી છે કે નહીં. અદાણી જુથને બાંગ્લાદેશે 3993 કરોડથી વધુ રકમ ચુકવવાનું બાકી છે.


અખબાર સાથે વાત કરતા વચગાળાની સરકારના સભ્યએ કહ્યું, પઅદાણી બિઝનેસ જેવા ભારતીય બિઝનેસની તપાસ કરવામાં આવશે. કેવા પ્રકારના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, શરતો શું છે, એવી કોઈ વિદેશી કંપની ન હોઈ શકે જે સ્થાનિક કાયદાનું પાલન ન કરતી હોય. તેમણે કહ્યું, પઆ તપાસ કરવામાં આવશે. આને ભારતીય વ્યવસાયોને લક્ષ્યાંક તરીકે દર્શાવવામાં આવશે, પરંતુ ના… તેઓ અહીં શું કરી રહ્યા છે, બાંગ્લાદેશ કેટલા પૈસા ચૂકવે છે અને તે વાજબી છે કે નહીં તેની તપાસ કરવી પડશે. આ બધા પ્રશ્નો ઉભા થશે.


નવેમ્બર 2017માં, અદાણી પાવર (ઝારખંડ) લિમિટેડે બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ સાથે 25 વર્ષ માટે 1496 મેગાવોટ પાવર પરચેઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. આ હેઠળ, બાંગ્લાદેશ ગોડ્ડા પ્લાન્ટમાં ઉત્પાદિત 100 ટકા વીજળી ખરીદશે. અખબારના જણાવ્યા અનુસાર, ગોડ્ડા પ્લાન્ટે એપ્રિલ-જૂન 2023 દરમિયાન બાંગ્લાદેશના બેઝ લોડના 7 થી 10 ટકાનો પુરવઠો પૂરો પાડ્યો હતો.


અદાણી ગ્રૂપના પ્રવક્તાએ અખબાર સાથે વાત કરતા કહ્યું કે, બાંગ્લાદેશ સરકાર દ્વારા અમારા પીપીએની તપાસ અંગે અમારી પાસે કોઈ માહિતી નથી. સાચી ભાગીદારીની ભાવનામાં, અમે મોટી રકમ હોવા છતાં તેમને વીજળી પહોંચાડવાનું ચાલુ રાખીએ છીએ. અમે બાંગ્લાદેશ ઓથોરિટીના સંપૂર્ણ સંપર્કમાં છીએ અને અમારા કામને આનાથી અસર થઈ રહી હોવાથી જલ્દીથી ચુકવણી કરવા જણાવ્યું છે. અહેવાલમાં ફાઇનાન્સિયલ ટાઇમ્સના અહેવાલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અદાણીએ બાંગ્લાદેશની વચગાળાની સરકારને 500 મિલિયનથી વધુની લેણી રકમ અંગે ચેતવણી આપી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version