rajkot
પત્નીના મૃત્યુના આઘાતમાં 80 વર્ષના વૃદ્ધનો આપઘાત
શહેરના મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા 80 વર્ષીય વૃધ્ધે પત્નીના મૃત્યુના આધાતમાં આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. 40 દિ’ પહેલા પત્નીનું કેન્સરથી મોત થતા ગુમસુમ રહેતા વૃધ્ધે પત્નીના વિયોગમાં ગળાફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી.
જાણવા મળતી વિગત મુજબ મવડી વિસ્તારમાં સ્પીડવેલ પાર્ટ પ્લોટ પાસે આવેલા કોજી કોટયાર્ડ બિલ્ડીંગમાં ફલેટ નં.સી-602માં રહેતા લક્ષ્મણભાઇ ભવાનભાઇ ભોરણીયા (ઉ.વ.80) નામના પટેલ વૃધ્ધે વહેલી સવારે પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
પરિવારજનો ઉઠાડવા જતાં તેઓ લટકતી હાલતમાં મળી આવ્યા હતા. 108ના ઇએમટીએ મરણ જાહેર કરી પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્5િટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક વૃધ્ધ નિવૃત્ત જીવન જીવતા હતા. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. પત્નીનું 40 દિવસ પહેલા કેન્સરની બિમારીથી અવસાન થતા તેઓ ગુમસુમ રહેતા હતા અને પત્નીના વિયોગમાં આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પટેલ પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.