ગુજરાત
જય જગન્નાથના નાદ સાથે શહેરભરમાં ફરી ભવ્ય રથયાત્રા
17મી રથયાત્રામાં ભક્તોના ઘોડાપૂરે સર્જયું ધાર્મિક વાતાવરણ: સામૂહિક પ્રસાદના અનેક સ્થળોએ આયોજનોમાં જોડાતો ભાવિક સમુદાય
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અષાઢી બીજની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં 17મી રથયાત્રા મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. જગન્નાથ મંદિરેથી સવારે વાજતે ગાજતે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. સેંકડો ભાવિકો દ્વારા જય જગન્નાથના ગગનભેદી નાદથી શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનનો રથ ખેંચવાનો લહાવો મેળવી સેંકડો ભાવિકોએ ધન્યતા અનુભવી છે. રથયાત્રામાં 20 થી 25 જેટલા આકર્ષક ધાર્મિક ફલોટસથી ભાવિકો આકર્ષાયા હતા. 20 થી 22 કિલોમીટર લાંબી રથયાત્રામાં અઘોરી બાવાઓનું નૃત્ય, વૃંદાવનની રાસમંડળી, સનાતની બુલડોઝર, ઉજજૈનથી હનુમાનજીના પરિવેશમાં ફરેલા ભાવિક સૌથી વધુ ધ્યાનાકર્ષક બન્યા હતા. રથયાત્રાના પ્રારંભથી સમાપન સુધી કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. રથયાત્રામાં જોડાનાર સેંકડો ભાવીકોની સેવા કરવામાં ચોક વિસ્તારમાં ઠંડા પીણાથી સેવકો અનેક સેવાભાવી સંગઠનોએ લહાવો લીધો હતો. સાંજે ઇસ્કોન મંદિરેથી અદભુત શણગાર સાથે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને બલરામજી નગરચર્યાએ નીકળ્યા જય જગન્નાથનાં નાદ ગુંજયા હતા. શહેરમાં દસ જેટલી રથયાત્રા અને શોભાયાત્રાઓ શહેરનાં રાજમાર્ગો પર ફરતા શહેર કોઇ ધાર્મિકનગરીમાં ફેરવાઇ ગયું હતી.