ગુજરાત
પૂર્વ TPOના ભ્રષ્ટાચારની તપાસ માટે ACBએ SIT બનાવી
ફરજકાળ દરમ્યાન કરેલી કામગીરીનું 6 સભ્યોની ટીમ કરશે મૂલ્યાંકન, બેનામી સંપત્તિ ટાંચમાં લેવા એસીબી કાર્યવાહી કરશે
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં જેની ધરપકડ કરવામાં આવી છે તેવા મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠીયા સામે એસીબીએ કાર્યવાહી શરૂ કરી છે ત્યારે હાઈકોર્ટની ટકોર બાદ સત્ય શોધક કમીટીએ તપાસ કરીને રિપોર્ટ હાઈકોર્ટને સુપ્રત કર્યો છે. બીજી તરફ આ મામલે સાગઠીયાના ભ્રષ્ટાચારની કુંડળી કાઢવા માટે હવે એસીબીએ પણ સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી ટાઉન પ્લાનીંગ ઓફિસર તરીકે સાગઠીયાએ તેના કાર્યકાળ દરમિયાન કરેલી કામગીરીનું મુલ્યાંકન કરવા એસીબીના છ અધિકારીઓની આ સીટની ટીમ તપાસ કરી મોટા કૌભાંડનો પર્દાફાશ કરે તેવી શકયતા છે. ઉપરાંત સાગઠીયાની બેનામી મિલ્કતોને ટાંચમાં લેવા એસીબીએ કાર્યવાહી શરૂ કરી છે.
એસીબીની ટીમે અપ્રમાણસર મિલકત અંગે પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠીયા સામે ગુનો નોંધી 10 કરોડની અપ્રમાણસર મિલ્કત અંગેની તપાસ કરી હતી. તેમજ થોડા દિવસો પૂર્વે 150 ફુટ રીંગ રોડ પર તેની ટવીન ટાવરમાં આવેલી ઓફિસનું સીલ ખોલી તપાસ કરતાં 18.18 કરોડની વધુ અપ્રમાણસર મિલકતો મળી આવી હતી. જેમાં સોનાના દાગીના તથા સોનાના બિસ્કીટ અંદાજીત 22 કિલોગ્રામ, ચાંદીના દાગીના અંદાજીત રૂૂ.2 લાખની કિમંત તથા ડાયમંડ જ્વેલરી આશરે રૂૂ.8.50 લાખ, રૂૂ.3.5 કરોડની રોકડ ભારતીય ચલણી નોટ, વિદેશી ચલણી નોટો રૂૂ.1.82 લાખ તથા સોનાની ઘડિયાળ રૂૂ.1 લાખ એમ કુલ મળીને રૂૂ.18 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી હતી.
સાગઠિયાએ વર્ષ 2012થી મે 2024 સુધીમાં પોતાની સર્વિસના કાર્યકાળ દરમિયાનમાં અધધ બેનામી સંપત્તિ એકઠી કરી લીધી હોવાનું એસીબીના ધ્યાને આવ્યું છે. સાગઠિયાએ રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં જમીન પણ વસાવી લીધી છે. ઉપરાંત પેટ્રોલ પંપ પણ ખોલી દીધા હોવાનું ધ્યાને આવ્યું છે. આ તમામ પ્રોપર્ટી તથા રોકડ રકમને ટાંચ લેવા માટે થઈને એસીબીએ એસઆઇટીની ટીમની રચના કરી છે. આ ટીમના તમામ સભ્યોએ સાગઠિયા વિરુદ્ધ હજુ બીજી કેટલી બેનામી પ્રોપર્ટી છુપાવીને રાખી છે તે પણ શોધીને તેણે ટાંચમાં લેવાની કાર્યવાહી પણ કરવાની રહેશે.
અત્યાર સુધીમાં સાગઠિયા પાસેથી રૂૂપિયા 3 કરોડ રોકડા, 22 કિલો સોનું તથા 10 કરોડથી વધુની કિમંતની બેનામી પ્રોપર્ટીઓ મળી આવી છે. જેના પગલે સરકારના ગૃહ વિભાગના આદેશ બાદ એસીબીએ એસઆઇટીની રચના કરીને તપાસનો ધમધમાટ શરુ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે સાગઠિયા વિરુદ્ધ તપાસ કરી રહેલી એસીબીને અત્યાર સુધીમાં કુલ રૂૂ. 28 કરોડની અપ્રમાણસર મિલકત સાગઠિયા પાસે હોવાનું એસીબીના ધ્યાને આવ્યું છે. ત્યારે એસીબીએ આ કેસમાં કોઈ કચાસ રહી જાય નહીં અને કોઈપણ મુદ્દે છુટી જાય નહીં તેના માટે તમામ તૈયારીઓ શરૂૂ કરી દીધી છે.