rajkot
કોટડા સાંગાણીના નાના માંડવા ગામે રિસામણે બેઠેલી પરિણીતાએ સુરત સાસરિયા સામે નોંધાવી ફરિયાદ
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના નાના માંડવા ગામે માવતરે રિસામણે બેઠેલી પરિણીતાને પતિએ માર મારી ત્રાસ આપ્યો હોવાની અને સાસુ સસરા જેઠ, જેઠાણી પણ મેણાટોણા મારી હેરાન કરતા હોવાની મહીલા પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ કોટડા સાંગાણી તાલુકાના નાના માંડવા ગામે રહેતી જાનકીબેન પૃથ્વીભાઇ નિમાવત (ઉ.23)એ ગોંડલ મહીલા પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સુરત રહેતા પતિ પૃથ્વી જયકાંતભાઇ નિમાવત, સસરા જયકાંતભાઇ મગનભાઇ, સાસુ લતાબેન, જેઠ અજયભાઇ, અમીતભાઇ જેઠાણી, સોનલબેન અને ધર્મીષ્ઠાબેનના નામ આપ્યા છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી યુવતીના લગ્ન તા.11/12/22ના થયા હતા. લગ્ન બાદ સુરત સાસરે સંયુક્ત પરિવારમાં રહેવા ગઇ ત્યારે સાસુ અને જેઠાણી ઘરકામ બાબતે મેણાટોણા મારી ત્રાસ આપતા હતા અને પતિને ફરીયાદ કરી તો મારી માતા કે ભાભી જેમ કહે તેમ કરવાનું અને બહાર પણ જવા દેતા નહોતા.
અગાઉ તબીયત સારી ન હોય તેમ છતા ઘરકામ કરાવતા હોવાનો આક્ષેપ કર્યો છે જયારે સાસરીયાના ત્રાસથી છ મહીના માવતરે રિસામણે રહ્યા બાદ પતિ સમાધાન કરી તેનડી ગયો હતો અને બન્ને અલગ રહેવા લાગ્યા હતા.
પતિ-પત્ની અલગ રહેતા હોય સાસરીયાઓ પતિની ચડામણી કરતા હોય જેના કારણે 23/10/23ના રાતે પતિએ ઝઘડો કરી મારમાર્યો હતો અને બાદમાં પરણીતા માવતરે રિસામણે જતી રહી હતી.
વધુમાં જણાવ્યું હતું કે યુવતીના માતા-પિતા સુરત આવે તે પતિ અને સાસરીયાને ગમતુ નહી અને તારા માતા- પિતા આપણા ઘરે આવવા જોઇએ નહી તેમ કહી ત્રાસ આપતા હતા.
આ બનાવ અંગે મહીલા પોલીસે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.