ગુજરાત
રાજકોટમાં લોહીના ટકા ઘટી જતાં 12 વર્ષના તરુણનું મોત
રાજકોટમાં આવેલા સ્વાતિ પાર્ક પાસે રહેતા શ્રમિક પરિવારનો સશીવ દેવેન્દ્રભાઈ નાયક નામનો 12 વર્ષનો તરૂણ પોતાના ઘરે હતો ત્યારે લોહીના ટકા ઘટી જતાં બેભાન હાલતમાં ઢળી પડયો હતો. તરૂણને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે આજી ડેમ પોલીસને જાણ કરતાં આજી ડેમ પોલીસ ચોકીનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક સશીવ નાયકનો પરિવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે. સશીવ નાયક બે ભાઈ બે બહેનમાં વચેટ હતો અને લોહીના ટકા ઓછા હોવાના કારણે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.