શહેરમા નવાગામ પાસે કેરી ગાડીનાં મુસાફરે જોઇને ડ્રાઇવીંગ કરવાનુ કહેતા છકડો રીક્ષાનાં ચાલકે ગાળો ભાંડી હતી . યુવાને ગાળો દેવાની ના પાડતા છકડો રીક્ષાનાં ચાલકે ઢીકા પાટુનો માર માર્યો હતો . હુમલામા ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે સોખડા ગામે રહેતો કરણ પ્રવીણભાઇ મેઘાણી (ઉ. વ. 18 ) નવાગામ બસ સ્ટેશન પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સે ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો યુવકને ઇજા પહોંચતા સારવાર માટે સિવીલ હોસ્પીટલમા ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક તપાસમા કરણ મેઘાણી કેરી ગાડીમા બેસીને જઇ રહયો હતો ત્યારે છકડો રીક્ષા સામેથી ધસી આવી હતી જેથી કરણ મેઘાણીએ જોઇને ડ્રાઇવીંગ કરવાનુ કહેતા છકડો રીક્ષાનાં ચાલકે ગાળો ભાંડી માર માર્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આ ઉપરાંત જુદા જુદા ત્રણ સ્થળે બે પરણીતા સહીત 3 લોકોએ ફીનાઇલ પી લીધી હોવાની ઘટના સામે આવી છે જેમા માધાપર ગામે પ્રવીણાબેન વીજયભાઇ મુછડીયા (ઉ. વ. 36 ), રાધાકૃષ્ણ નગરમા શહેનાઝબેન ફીરોજભાઇ અજમેરી (ઉ.વ. 38) અને રેલનગર સુભાષચંદ્રબોઝ ટાઉનશીપમા પ્રીતેશ ખોપરે (ઉ.વ. ર3) એ પોત પોતાનાં ઘરે ફીનાઇલ પી લીધુ હતુ ત્રણેયની તબીયત લથડતા સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
