rajkot
દીપડો કણકોટ પહોંચ્યો, વનખાતું કામે લાગ્યું
રાજકોટના મુંજકા વિસ્તારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે શનિવારે સાંજે દેખાયેલો દિપડો હવે કણકોટ-કૃષ્ણનગર ગામમાં ઝળક્યો છે અને કણકોટના સ્મશાનમાં સેવા આપતા એક વૃધ્ધે રવિવારે સાંજે દિપડો નરીઆંખે જોતા પોલીસ અને જંગલખાતાના સ્ટાફને જાણ કરી હતી જેના પગલે જંગલખાતાએ કણકોટ ગામના સ્મશાનમાં પાંજરૂ મુકી રાતભર ઉજાગરો કર્યો હતો પરંતુ દીપડો પાંજરામાં આયો નથી.
બીજી તરફ કાલાવડ રોડ પરના કણકોટ-કૃષ્ણનગર, રામનગર સહિતના વિસ્તારોમાં દિપડો આવ્યાની વાત ફેલાતા લોકો અને ખેડુતોમાં ફફડાટ ફેલાયો છે અને વહેલામાં વહેલી તકે દિપડાને પાંજરે પુરવા માંગણી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગઈકાલે સાંજે કણકોટ ગામના સ્મશાનમાં વૃક્ષોને પાણી પાવાનું કામ કરતા લાલજીભાઈ ભોવાનભાઈ વીરાણી નામના ગૃહસ્થ સ્મશાનમાં પાણીના કુંડા ભરી રહ્યા હતા ત્યારે ઝાડનીચે સુતેલો દિપડો જોઈ જતા તેમના હોશકોશ ઉડી ગયા હતાં અને સ્મશાનની વંડી ટપી બહાર નિકળી જઈ દેકારો મચાવી લોકોને ભેગા કર્યા હતાં.
આ ઉપરાંત દિપડા અંગે ફોરેસ્ટ વિભાગ અને પોલીસને જાણ કરતા ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ તથા પોલીસ કાફલો કણકોટ દોડી ગયા હતા જો કે, દેકારો મચી જતા ફોરેસ્ટનો કાફલો આવે તે પહેલા દિપડો સ્મશાનની વંડી ટપી ડોક્ટર ક્લબ તરફ નાસી ગયો હતો.
બીજી તરફ ફોરેસ્ટ વિભાગે દિપડાને પકડવા કણકોટના સ્મશાનમાં પાંજરૂ મુકી રાતભર ઉજાગરો કર્યો હતો પરંતુ દીપડો પકડવામા ંઆવ્યો થી. કણકોટ, કૃષ્ણનગર, રામનગર સહિતના ગામોમાં ન્યારી ડેમના કાંઠે અનેક લક્ઝરી ફાર્મહાઉસો એન રહેણાંક સોસાયટીઓ આવેલી હોય, આ વિસ્તારના લોકોમાં દિપડાના નામથી ફફડાટ ફેલાયેલ છે.