ગુજરાત
સાયલા-ચોટીલા હાઇવે પરનો બ્રિજ એક સાઇડમાં બેસી જતા ભારે દોડધામ
તાબડતોબ સમારકામ શરૂ કરાયું, ગુણવત્તા સામે ઉઠેલા સવાલો
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર ડોળિયા પાસેનો બ્રિજનો સાઈડનો ભાગ બેસી જતા સવાલો ઉઠ્યા છે. સાયલાના ડોડીયા ચોકડી પાસેના બ્રીજનો સાઈડનો ભાગ બેસી જતા કામની ગુણવતાને લઈ સવાલો ઉઠ્યા છે. હાલ તો તંત્ર દ્વારા તાબડતોડ સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.
સાયલાના ડોડીયા ચોકડી પાસેના બ્રિજ પર એક ફુટ ડામર બેસી જતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા હતા. તાજેતરમા એક મહિના પહેલા જ આ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે બ્રિજની આવી નબળી કામગીરી સામે તંત્ર તેમજ કોન્ટ્રાક્ટરો સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા નેશનલ હાઇવે પર ડોળિયા પાસેનો બ્રિજનો સાઈડનો ભાગ બેસી જતા આ પુલ પરથી પસાર થતાં વાહનચાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ જવા પામી હતી.
આ અંગે નેશનલ હાઈવેના ડેપ્યુટી ઈજનેર ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે, આ ઓવરબ્રિજનો કોન્ટ્રાકટ પહેલા સદભાવ એજન્સીને આપવામાં આવ્યો હતો. ત્યારબાદ કોરોના કાળ શરૂૂ થતાં સદભાવ એજન્સી કામ પૂર્ણ કરી શકી નહોતી. તેથી બાદમાં આ કોન્ટ્રાકટ વરુણ પ્રો. કોન પ્રાઇવેટ લિમિટેડ આ કામ પૂર્ણ કરવા ઓવરબ્રીજનું કામ સોંપવામાં આવ્યું હતું. અને બ્રીજ જે કોઈ બનતા હોય છે. તેના કોઈ ભાવ નક્કી હોતા નથી. જેનો કોન્ટ્રાકટ ઇપીસી કોન્ટ્રાકટ તરીકે અપાતો હોય છે. અત્યારે એટલો ભાગ રિપેરિંગ કરી ત્યાં આડશ મૂકી બાકીનો પુલ ચાલુ કરી દેવામાં આવ્યો છે.
જ્યારે આ અંગે સાયલા ગામના સરપંચ અજયભાઇએ જણાવ્યું કે સાયલાથી દશેક કિમી આવેલા ડોળીયા પાસેનો એક બાજુનો બ્રિજ જ બેસી ગયો હતો. અને એકાદ મહિના પહેલા જ તંત્ર દ્વારા આ બ્રીજ ચાલુ કરવામાં આવ્યો હતો. હાલ તો તંત્ર દ્વારા આ બ્રીજ રિપેરિંગ કરી સાઈડમાંથી ચાલુ કરી દેવામાં આવ્યો છે.