ગુજરાત
મહાનગરપાલિકા ભ્રષ્ટાચારનું એપીસેન્ટર, ધવલ નંદાના ગંભીર આક્ષેપો
વિપક્ષના નેતા ધવલએ દાવો કર્યો છે કે, કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વિનાનું એકેય કામ નથી હોતું અને ભૂગર્ભ ગટરની સફાઈના નામે લાખો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે. છતા કુંભકર્ણની નિદ્રા સૂતેલુ તંત્ર જાગતું નથી
મીડિયા અહેવાલો મુજબ, દરરોજ નોંધાતી 170 ફરિયાદોમાંથી 90% ફરિયાદો બોગસ હોવાનું સામે આવ્યું છે. આ બોગસ ફરિયાદો કોન્ટ્રાક્ટરોના માણસો જ કરે છે અને પછી તે જ કામ કરીને બિલ બનાવી નાણાં ખિસ્સામાં પાડે છે. આ સમગ્ર કૌભાંડમાં કોન્ટ્રાક્ટરો, મહાપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરો સામેલ હોવાનો આક્ષેપ સામે આવ્યા છે.
નંદાએ એમ પણ જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલાં 20 લાખ રૂૂપિયામાં થતું કામ હવે 4 કરોડ રૂૂપિયામાં થાય છે. આ કૌભાંડને કારણે લોકોના કરોડો રૂૂપિયા બગાડવામાં આવી રહ્યા છે. તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ભૂગર્ભ ગટર સાફ કરવાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે અને ફરિયાદ મળતાં જ આ ભાવ પ્રમાણે બિલ બને છે. બે એન્જિનિયરો દ્વારા ફરિયાદની તપાસ થાય છે અને જામનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ છે. નંદાએ આ કૌભાંડને રોકવા માટે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવાની માગ કરી છે.ધવલ નંદાના આ ગંભીર આક્ષેપોએ જામનગરમાં ભ્રષ્ટાચારની ચર્ચાને જોરશોરથી જગાવી દીધી છે. આ મામલે તપાસની માંગ ઉઠી છે.
આ સમગ્ર મામલે જોકે, જામનગર મહાનગરપાલિકાના નાયબ ઈજનેર અમિત કણસાગરાએ આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું કે, ભૂગર્ભ ગટર પાઈપલાઈન નેટવર્ક અને જોડાણોની સંખ્યા વધતાં ફરિયાદોની સંખ્યા પણ વધી છે. તેમણે એમ પણ કહ્યું કે, ફરિયાદોના નિકાલ બાદ રેન્ડમ પદ્ધતિએ વેરીફિકેશન કરવામાં આવે છે અને સફાઈના નવા કોન્ટ્રાક્ટ માટે ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે.