ગુજરાત
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે, હવે કિરીટ પટેલના બાગી તેવર
આપના ભુપત ભાયાણી અને કોંગ્રેસના ચિરાગ પટેલ બાદ હવે કોનો વારો. ગુજરાતની રાજનીતિમાં હાલ આ વિષય ચર્ચાનો બન્યો છે કે, હવે આપ કે કોંગ્રેસના કયા ધારાસભ્ય રાજીનામું આવશે. ગમે ત્યારે વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે. સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના ધારાસભ્યની વિકેટ પડવાની ચર્ચા વહેતી થઈ છે. સતત કોંગ્રેસ તૂટી રહી છે ત્યારે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના બાગી તેવર સામે આવ્યા છે.
કિરીટ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય રાજીનામાં આપી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. પક્ષે આ બાબતે જાગૃત થવાની જરૂૂર છે. હવે જે 16 ધારાસભ્યો બચ્યા છે તેમને બોલાવી મિટિંગ કરવાની જરૂૂર છે. જે એમની નારાજગી હોય તે દૂર કરવાની જરૂૂર છે, નહિ તો ભવિષ્યમાં મોટું નુકસાન થાય તેમ છે.
કિરીટ પટેલે વધુમાં કહ્યું કે, પક્ષમાં જે ધારાસભ્ય ચૂંટાયા છે, તે તેમની પ્રતિભાના અને પોતાના પ્રભાવને લઈ ચૂંટાયા છે. જ્યારે ભાજપમાંથી પક્ષ, કાર્યકરો, સંગઠન મહેનત કરતું હોય છે. કોંગ્રેસમાં તો કોંગ્રેસના જ લોકો હરાવવા ફરતા હોય છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય તે અંગે પક્ષમાં લેખિત રજૂઆતો ઘણી કરી છે. પણ પક્ષ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી. પછી ધારાસભ્ય પોતાની રીતે નિર્ણય લઇ શકે છે.
તેમણે કહ્યું કે, ઘણીવાર સોશ્યલ મીડિયામાં જોયું કે કચરો જતો રહે છે. કોંગ્રેસે હવે ગંભીર બનવાની જરૂૂર છે. કચરો હવે 16 જ રહ્યો છે, બધા જતા રહેશે તો ઘણી વખત કચરો પણ ઘરના ખૂણામાં સાચવી રાખતા હોઈએ છીએ. હજુ પણ ત્રણ ચાર ધારાસભ્ય તૂટશે. એટલા તૂટી રહ્યા છે જે માટે પક્ષના આગેવાનો સંપર્ક કરી ધારાસભ્યોની બેઠક બોલાવવા અંગે કહ્યું પણ કોંગેસ સીરિયસ નથી. ધારાસભ્ય જાય તેમાં પક્ષ ગંભીર નથી. આની જગ્યાએ ભાજપ હોત તો સંગઠન દ્વારા બેઠક કરી સમસ્યાનો હલ લાવ્યું હોત.
ઉલ્લેખનીય છે કે, હવે જે ત્રણ ચાર ધારાસભ્ય તૂટી શકે છે તેમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે, રાજકારણ પ્રવાહી છે, કોઈ વ્યક્તિ રજૂઆતો સાંભળવામાં ન આવે તો તે વ્યક્તિ તેની રીતે નિર્ણય લઇ શકે છે.
પક્ષવિરોધી કામ કરનારને દૂર કરવા છ મહિનાથી રજૂઆત છતાં પગલા નહીં
કિરીટ પટેલે જણાવેલ કે, ચૂંટણીમાં જે લોકોએ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરી છે જેની લેખિતમાં રજૂઆત કરી છે. એ લોકોને દૂર કરવાના બદલે હોદ્દા આપવામાં આવ્યા, શિસ્તવિરુદ્ધ પ્રવૃત્તિ બદલ કોઈ કાર્યવાહી કરવામાં ન આવે. રજૂઆત કર્યાને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં કોઈ નિર્ણય લેવામાં નથી આવ્યો તો હું માનું છું કે આ નિર્ણય શક્તિનો અભાવ છે. મેં છ મહિના પહેલાં જ રજૂઆત કરી હતી કે, ચૂંટણીમાં જે લોકોએ પક્ષવિરુદ્ધ પ્રવૃત્તિ કરી છે તેની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો હું પક્ષમાંથી રાજીનામું આપીશ.
રઘુ શર્માએ કર્યો હતો કચરા શબ્દનો પ્રયોગ
કોંગ્રેસ નેતા રઘુ શર્માએ કચરા શબ્દનો પ્રયોગ કર્યો હતો. કોંગ્રેસના બાગી નેતાઓ માટે તેઓએ કચરા શબ્દનો ઉપયોગ કર્યો હતો. સોશિયલ મીડિયામાં રઘુ શર્માનું નિવેદન વાયરલ થયું હતું. કિરીટ પટેલે કચરા શબ્દને લઈને વળતો પ્રહાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી હતી. તાજેતરમાં રાજસ્થાનની ચૂંટણીમાં રઘુ શર્માની હાર થઈ હતી.