ગુજરાત

પ્રસૂતા પુત્રીની ખબર પૂછવા જતાં પિતાનું બાઈક અકસ્માતમાં મોત

Published

on

ઉનાના તપોવન પાસેની ઘટના : વૃદ્ધે સારવારમાં દમ તોડતા પરિવાર શોકમગ્ન

ઉનાના ગુંદાળા ગામે રહેતા વૃદ્ધ પ્રસુતા પુત્રીની ઉના હોસ્પિટલમાં ખબર પૂછવા જતા હતા. ત્યારે તપોવનના પાટીયા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધનું મોત નીપજ્યું હતું. વૃદ્ધના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબના ઉનાના ગુંદાળા ગામે રહેતા તેજાભાઈ ગોવાભાઇ જોગડીયા નામના 65 વર્ષના વૃદ્ધ પાંચ દિવસ પૂર્વે સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઈને ઉના જઈ રહ્યા હતા ત્યારે ઉના બાયપાસ રોડ ઉપર આવેલ તપોવનના પાટીયા પાસે અજાણ્યા બાઈક ચાલકે તેજાભાઈ જોગડીયાના બાઇકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને તાત્કાલિક સારવાર માટે ઉના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.


પ્રાથમિક પૂછપરછમાં મૃતક તેજાભાઈ જોગડીયા ત્રણ ભાઈ એક બહેનમાં મોટા હતા અને ખેત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા જ્યારે તેમને સંતાનમાં એક પુત્ર અને ચાર પુત્રી છે અને પુત્રી ગૌરીબેનને ઉના હોસ્પિટલમાં પ્રસુતિ થઈ હોવાથી તેજાભાઈ જોગડીયા પુત્રીની ખબર અંતર પૂછવા જતા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version