ગુજરાત
સુરતમાં ફરી કાંકરીચાળો, ભરૂચમાં કોમી અથડામણ
કચ્છમાં પણ ગણપતિ પંડાલમાં તોડફોડ, ગુજરાતમાં કોમી વાતાવરણ બગાડવા સતત પ્રયાસો
ગુજરાતમાં ગણપતિ મહોત્સવ અને ઈદના તહેવારોના સમયે જ શાંતિમાં પલિતો ચાંપી વાતાવરણ કલુસીત કરવાની સમયાંતરે ઘટનાઓ બનવા લાગતાં લોકોમાં ચિંતા પેઠી છે અને સરકાર પણ એલર્ટ બની છે.
બે દિવસ પહેલા સુરત અને વડોદરામાં ગણેશ મહોત્સવના પંડાલ ઉપર કાંકરી ચાળાની ઘટના બાદ ગતરાત્રે ફરી સુરતના વરીયાવી બજારમાં ગણેશ પંડાલ ઉપર કાંદા-બટેટા ફેંકવામાં આવ્યા હતાં. જ્યારે ભરૂચના ગોકુલનગર વિસ્તારમાં ઝંડા લગાવવાના મામલે બે જૂથ વચ્ચે અથડામણ થતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતાં તો ત્રીજી ઘટના કચ્છના કોટડા જડોદર ગામે બની હતી. જ્યાં વિધર્મીઓ દ્વારા ગણેશ પંડાલમાં તોડફોડ કરવામાં આવી છે.
ભરૂચમાં રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. મળતી માહિતી મુજબ બી. ડિવિઝન પોલીસમથકના કુકરવાડામાં આવેલા ગોકુળનગર નજીક બે સમુદાયના લોકો વચ્ચે ધાર્મિક તહેવારોની ઉજવણી માટે ઝંડા લગાવવા જતા મામલો બીચક્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. આ દરમિયાન ભારે પથ્થરમારો અને તોડફોડ જેવી ઘટનાઓ બની હતી. અથડામણ દરમિયાન 2 લોકો ઈજાગ્રસ્ત થયાની પણ જાણકારી મળી રહી છે.
ઘટનાની જાણકારી મળતાં એસ.પી. મયુર ચાવડા સહિત સમગ્ર પોલીસ કાફલો દોડી આવતા સ્થિતિ થાળે પડી હતી. ત્યારબાદ કોઈ અણગમતી ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી અને મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. હાલમાં સીસીટીવી ફૂટેજની મદદથી તોફાનીઓને શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ સિવાય સુરતના વરીયાવી બજારમાં કોળીવાડમાં ગતરાત્રે ગણેશ પંડાલ ઉપર અજાણ્યા શખ્સોએ ડુંગળી-બટેટા ફેંકતા તંગદિલી ફેલાઈ હતી. જો કે, પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મામલો કાબુમાં લઈ લીધો હતો. આ ઘટના પોલીસ દ્વારા દબાવવા પ્રયાસો થઈ રહ્યાના પણ આક્ષેપો થયા છે.