રાષ્ટ્રીય
ચેન્નાઈમાં કાલથી ભારત-બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ
સપ્ટેમ્બરમાં ચેન્નાઈનું મેદાન ભારત માટે અનલકી
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ શ્રેણી ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમથી શરૂૂ થવા જઈ રહી છે, જ્યાં ભારતનો રેકોર્ડ ઘણો સારો છે અને ટીમ ઈન્ડિયાએ 34માંથી 15 મેચ જીતી છે. તેમ છતાં, સપ્ટેમ્બર મહિનો એવો અપવાદ રહ્યો છે, જ્યારે ચેન્નાઈનું મેદાન ટીમ ઈન્ડિયા માટે સારું સાબિત થયું નથી. 19 સપ્ટેમ્બરથી ટીમ ઈન્ડિયા ફરી એકવાર ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં સફેદ જર્સીમાં મેદાનમાં ઉતરશે.
પૂરા 6 મહિના પછી, ભારતીય ખેલાડીઓ ટેસ્ટ ક્રિકેટ રમશે અને સતત ત્રીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈલમાં પહોંચવા માટે તેમના અભિયાનને આગળ ધપાવશે. આ વખતે ટીમ ઈન્ડિયાનો સામનો બાંગ્લાદેશ સામે છે. પાકિસ્તાનમાં જઈને ટેસ્ટ શ્રેણી 2-0થી જીતનારી બાંગ્લાદેશી ટીમને આ વખતે ઓછો આંકી શકાય તેમ નથી. તેની ઉપર, એક મોટો પડકાર સપ્ટેમ્બર મહિનો છે, જે ચેન્નાઈમાં રમાયેલી ટેસ્ટ મેચોમાં ભારત માટે ક્યારેય સફળતા લાવ્યો નથી. હવે કેપ્ટન રોહિત શર્મા પાસે ઐતિહાસિક કામ કરવાની તક છે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 2 ટેસ્ટ મેચો રમાવાની છે, જેમાંથી પ્રથમ મેચ ચેન્નાઈમાં છે. જો કે ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં ક્લીન સ્વીપની દાવેદાર છે, પરંતુ આ વખતે તેને બાંગ્લાદેશ તરફથી પડકાર મળવાની આશા છે. હવે બાંગ્લાદેશ ટીમ ઈન્ડિયાને કેટલો પડકાર આપે છે તે તો 19 તારીખથી જ ખબર પડી જશે.
1934માં ચેન્નાઈમાં પ્રથમ વખત ટેસ્ટ મેચ રમાઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં કુલ 34 ટેસ્ટ મેચ રમાઈ છે. આમાં ભારતીય ટીમે 15 ટેસ્ટ જીતી છે, 11 ડ્રો રહી છે અને 7 વખત હારનો સામનો કરવો પડ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં આ મેદાન પર માત્ર 3 ટેસ્ટ મેચ રમાઈ છે પરંતુ ભારતીય ટીમ એક પણ વખત જીતી શકી નથી. જેમાંથી 2 મેચ ડ્રો રહી હતી જ્યારે 1 મેચ ટાઈ રહી હતી. સપ્ટેમ્બર 1979માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ ડ્રો રહી હતી. ત્યારબાદ સપ્ટેમ્બર 1982માં શ્રીલંકા સાથેની મેચ પણ ડ્રો રહી હતી. 1986માં ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ રોમાંચક ટાઈમાં સમાપ્ત થઈ હતી.