ગુજરાત

લંપટ સાધુઓને સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી હાંકી કાઢો

Published

on

જૂનાગઢ અને બોટાદમાં હરિભકતોના મોરચા, કલેકટરોને આપેલા આવેદનપત્રો

હરિભકતોએ રેલીઓ યોજી સનાતન ધર્મને બદનામ થતો અટકાવવા કરેલી બુલંદ માગણી


સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓની બહાર આવી રહેલી લંપટલીલા સામે ધીરે ધીરે હરિભકતોમાં આક્રોશ ઉગ્ર બની રહ્યો છે અને લંપટ સાધુઓને સંપ્રદાયમાંથી હાંકી કાઢવાની માંગણી સાથે વડોદરા, સુરત અને વડતાલ બાદ હવે બોટાદ તથા જૂનાગઢમાં પણ હરિભકતોએ મોરચા કાઢયા હતાં.
જૂનાગઢમાં વિશાળ મોરચો
છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓનાં દુષ્કૃત્યોના બનાવો સામે આવતાં હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે. વડતાલ અને ગઢડા બાદ હવે જૂનાગઢના હરિભક્તોએ રેલી યોજી લંપટ સ્વામીઓને દૂર કરવાની માગ કરી છે. પોતાની માગ સાથેના પ્લેકાર્ડ સાથે રેલી યોજી હરિભક્તોએ લંપટ સ્વામીઓ સામે રોષ ઠાલવ્યો હતો અને લંપટ સાધુઓને હટાવી સ્વામિનારાયણ સંપ્રદાયને બચાવવાની માગ કરી હતી. હરિભક્તો દ્વારા જૂનાગઢના જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં અને કલેક્ટર કચેરીએ પોતાની રજૂઆત કરી હતી.
છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના વિવાદો સામે આવી રહ્યા છે. કેટલાક મામલાઓ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા છે. ત્યારે આજે જૂનાગઢના હરિભક્તો દ્વારા આવા લંપટ સ્વામીઓને દૂર કરવાની માગ સાથે જવાહર મંદિરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી લંપટ સ્વામીઓને દૂર કરવાની માગ કરવામાં આવી હતી. વિવિધ પ્લેકાર્ડ સાથે રેલી યોજી રહેલા હરિભક્તોએ કહ્યું હતું કે સનાતન ધર્મને બદનામ થતો અટકાવવા માટે જરૂૂરી પગલાં લેવાં જોઈએ અને કાયદાનું ચોક્કસપણે પાલન કરાવવા માટેની માગણી કરવામાં આવી હતી. હજારો હરિભક્તોએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિરોધપ્રદર્શન કર્યું હતું.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે સ્ત્રી સાથે બોલવું નહીં, સ્ત્રીનું મુખ જોવું નહીં, સ્ત્રીનાં વસ્ત્રને અડવું નહીં એવી આજ્ઞા હોવા છતાં સ્ત્રીઓ સાથે નજીકના સંબંધો બાંધી દુષ્કૃત્ય આચરે છે, ભગવા વસ્ત્રની આડમાં અસામાજિક ચારિત્ર્યહીન પ્રવૃત્તિ કરે છે. સ્વામિનારાયણ સાધુએ ભાગવતી દીક્ષા અંગીકાર કરેલી, સાધુઓ ભગવા વસ્ત્રો માત્ર પહેરેલા, પણ ભગવાને સ્થાપેલા સિંદ્ધાંતો મુજબ વર્તન કરતા નથી. સાધુએ પોતે દ્રવ્યનો સંગ્રહ કરવો નહીં કે બીજા પાસે કરાવવો નહીં એવી આજ્ઞા છે છતાં ખાનગી સંસ્થાઓ, ગુરુકુળો બનાવી સંપત્તિ એકઠી કરે છે અને એ માટે સંપ્રદાયના મોટા વર્ગને ભોળવીને છેતરપિંડી કરે છે.
બોટાદમાં આવેદન અપાયું
સ્વામીનારાયણ સંપ્રદાયના અમુક સાધુઓના અશ્ર્લિલ વીડિયો વાઈરલ થયાં છે. જેના વિરોધમાં હરિભક્તો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગઢડા સ્વામીનારાયણ મંદિરના લંપટ સાધુઓના વિરોધમાં મોટી સંખ્યામાં હરિભક્તોએૃ બોટાદ કલેક્ટર કચેરીએ પહોંચી લંપટ સાધુઓને સામે કડક પગલાં ભરવા માંગણઈ કરી હતી. મોટી સંખ્યામાં હરિભક્તો કલેકટર કચેરી પહોચી લંપટ સાધુઓના વિરોધમાં સુત્રોચાર કર્યા. મહિલા હરિભક્તો દ્વારા બેનરો સાથે લંપટ સાધુઓના વિરોધમાં હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ ગઢડા મંદિરમાં ગત 16 જૂને હરિભક્તો દ્વારા વિરોધ કરાયેલો જેથી મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દસ હરિભક્તો પર ફરિયાદ કરી હતી. તેમજ હરિભક્તો ઉપર કરેલી ખોટી પોલીસ ફરિયાદ પરત ખેંચવામાં નહિ આવે તો હરિભક્તો દ્વારા ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ધર્મના વડાઓ મૌન છે, સરકાર જ કડક પગલાં ભરે: હરિભકતો
શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે બની બેઠેલા ધર્મના વડાઓ તો કંઈ કરે એવું લાગતું નથી, કારણ કે બધા એક જ નાવમાં સવારી કરી રહેલા જણાય છે, જેથી હવે સરકાર આ બાબતે સખત પગલાં લે એવી માગણી છે. હરિભક્તોનો રોષ અને લાગણી ક્યાં સુધી સંયમમાં રહે, જેથી સનાતન ધર્મને માનતા તમામ, જેની લાગણી આવાં કૃત્યોથી દુભાય છે તે તમામની માગણી છે કે હવે કંઈ સારી વ્યવસ્થા ગોઠવાય એવી કાર્યવાહી તાકીદે થાય એવી માગણી છે. વિકલ્પે મોટો સમૂહ હવે સહનશીલતાની મર્યાદા સુધી પહોંચી ગયો છે અને ધર્મનું ખરાબ ન દેખાય એવી મર્યાદામાં છે, જેથી મર્યાદા સચવાય એવી કાનૂની કાર્યવાહી ઝડપથી કરવા વિનંતી છે. બની બેઠેલા ધર્મના કહેવાતા વડા પણ સંપ્રદાયના આવા સાધુઓનાં કરતૂતો જાણવા છતાં તેમને સંપ્રદાયમાંથી હાંકી કાઢવાને બદલે છાવરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version