મોરબી
બાઈક અકસ્માતમાં ઘવાયેલી સગર્ભાની કૂખેથી જન્મેલા નવજાત શિશુનું મોત
વાંકાનેરના ઢુંવામાં રાહદારી સગર્ભાને બાઇક ચાલકે ઠોકરે ચડાવી હતી. અકસ્માતમાં ઘવાયેલી સગર્ભાને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં પરિણીતાએ આઠમા મહિને બાળકને જન્મ આપ્યો હતો. નવજાત શિશુનું સારવારમાં મોત નિપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરના ઢુંવા ગામે આવેલી કંપનીમાં કામ કરતી લક્ષ્મીબેન મંગીયાભાઈ બીરવા નામની 20 વર્ષની પરિણીતા ઢુંવા નજીક ચાલીને જઈ રહી હતી ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા લક્ષ્મીબેનને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે વાંકાનેર બાદ રાજકોટ જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં લક્ષ્મીબેનને આઠ માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું અને સારવાર દરમિયાન પુત્રને જન્મ આપ્યો હતો આ અંગે ડોક્ટરે પોલીસ ચોપડે એમએલસી નોંધ કરાવતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો. અકસ્માતમાં ઘવાયેલી જનેતાની કુખે અધુરા માસે જન્મેલા પુત્રએ ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમિક પૂછપરછમાં લક્ષ્મીબેન ચાલીને પોતાના રૂૂમ તરફ જઈ રહી હતી ત્યારે સાથે કામ કરતી મહિલાના પતિએ લક્ષ્મીબેનને ઠોકરે ચડાવતા લક્ષ્મીબેનના પેટના ભાગ ઇજા પહોંચતા સારવારમાં ખસેડાતા આઠમા માસે જન્મેલા બાળકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.