ગુજરાત
3610 કિ.મી. રસ્તાઓનું યુધ્ધના ધોરણે સમારકામ શરૂ
રાજ્ય સરકારે 6487 કામદારો, 731 જેસીબી, 699 ડમ્પર, 65 રોલર, 48 ટ્રી કટર કામે લગાડ્યા
મુખ્ય રસ્તાઓ 7મી સુધીમાં અને ગ્રામ્ય માર્ગો 15મી સુધીમાં રીસર્ફેસ કરાશે, કલેકટરો-પ્રભારીમંત્રીઓને જવાબદારી
રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના-મોટા રોડ-રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે માર્ગમકાન વિભાગ દ્વારા અસર પામેલ 3610 કિ.મી. માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે.
નુકસાન થયેલા મુખ્ય રસ્તાઓ આગામી 7 સપ્ટેમ્બર સુધી રીસર્ફેસ કરાશે. આગામી 15 સપ્ટેમ્બર સુધી ગ્રામ્ય માર્ગો રીસર્ફેસ કરાશે. હંગામી ધોરણે મુખ્ય રસ્તાઓ તથા ગ્રામ્ય રસ્તાઓ રીસર્ફેસ થશે . નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા રસ્તાઓ રીસર્ફેસ કરવાની કામગીરી શરૂૂ કરાઈ છે.
રાજ્યમાં રસ્તાઓ રિપેરીંગ માટે દરેક જિલ્લા કલેકટર અને પ્રભારીમંત્રીઓને સંકલનની જવાબદારી સોંપવામાં આવી છે. ગઇકાલે સવારથી 731 જે.સી.બી., 699 ડમ્પર, 557 ટ્રેકટર, 7 હિટારી, 65 રોલર, 14 લોડર, 48 ટ્રી કટર અને 6487 કામદારોની કુલ 466 ટીમો કામે લગાડવામાં આવી છે.
જે સ્થળે સ્ટ્રકચર તુટી ગયો છે ત્યાં તાત્કાલિક ડાયવર્ઝન બનાવવા તેમજ સુચનાત્મક બોર્ડ લગાવવા, અન્ય તમામ સ્ટ્રકચરનું રી-વેરીફિકેશન કરવા સુચના આપવામાં આવી છે.નેશનલ હાઇવે ઓથોરીટીના પણ 2894 કિ.મી.ના રાષ્ટ્રીય ધોરી માર્ગોમાંથી 139 કિ.મી. લંબાઇના રસ્તાઓમાં નુકશાન થયેલ છે. તેનું પણ સમારકામ શરૂ કરાયું છે.
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ મકાન વિભાગ, સ્ટેટ હસ્તકના 11 રોડ પર પાણી ભરાઈ જવાના કારણે તેમજ ઓવર ટોપીંગના કારણે ભારે નુક્સાન પામ્યા હતા. જેના પરિણામે વાહન વ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો. જેમાં ઉપલેટા તાલુકાના પાંચ રોડ, જેતપુર તાલુકાના ત્રણ રોડ, રાજકોટ, કોટડા સાંગાણી તેમજ પડધરી તાલુકાના એક-એક મળીને 11 રોડ બંધ થયા હતા.
જો કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી, રાજ્ય માર્ગ અને મકાન વિભાગની ટીમે તાબડતોબ રસ્તા રીપેરીંગની કામગીરી શરૂૂ કરી દીધી છે. જેમાં રાજકોટ જિલ્લાના ઉપરોક્ત 11 રોડમાંથી 8 માર્ગો પુન: શરૂૂ થઈ ગયા છે. જ્યારે ત્રણ માર્ગો પર ડાયવર્ઝન આપીને વાહન વ્યવહાર શરૂૂ કરી દેવામાં આવ્યો છે. આમ રાજકોટ જિલ્લામાં વરસાદની સ્થિતિ હળવી થયાના ગણતરીના કલાકોમાં જ રોડ શરૂૂ કરી દેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ભારે વરસાદની સ્થિતિમાં રાજકોટ જિલ્લામાં રાજ્ય માર્ગ અને વિભાગના આશરે 35 જેટલા રોડ પર ખાડા પડી જવા, રોડની સાઈડો ધોવાઈ જવી કે તૂટી જવા સહિતનું નુકશાન થયું છે. પરંતુ માર્ગ અને મકાન વિભાગની ટીમ દિવસ રાત ખડેપગે રહીને આ રસ્તા રીપેરીંગની કામગીરી કરી રહી છે. હાલ વિવિધ રોડમાં રિપેરિંગ કામ તેજગતિએ ચાલી રહ્યું છે.
રોગચાળો ફેલાતો અટકાવવા આરોગ્ય વિભાગની 753 ટીમ મેદાને
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ બાદ પાણીજન્ય રોગ અટકાયત માટે આરોગ્ય વિભાગ દ્વારા ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જિલ્લામાં કુલ 595 ગામોમાં 753 આરોગ્યની ટીમો કાર્યરત છે. આ ટીમો દ્વારા આજ તા.1 સપ્ટેમ્બરના રોજ ગોમટા, ગઢકા અને ખોખડદડ ખાતે હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ક્લોરીનની ગોળીઓ અને ઘછજ પેકેટનું વિતરણ, ડસ્ટીંગ, ફોગીંગ તેમજ સ્વચ્છતા કામગીરી, પાણીનો આર.સી. ટેસ્ટ, પીવાના પાણીના પાઇપ લાઇનની લીકેજની તપાસ વગેરે કામગીરી કરવામાં આવી હતી. લોધિકાના રાવકી ગામે મચ્છરજન્ય તથા વાહકજન્ય રોગોનો ફેલાવો ન થાય તેની તકેદારી રૂપે કર્મચારીઓ દ્વારા સરકારી મિલકતો તથા ડોર ટુ ડોર ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી.