ગુજરાત

નવરાત્રી બાદ મેઘરાજાના ગરબા, 131 તાલુકામાં વરસાદ

Published

on

દસાડા-વિસાવદર- આહવામાં 3, વઢવાણ-ભૂજ-તાલાલા-ગોંડલ- મહુવા- કુતિયાણા- લોધિકામાં પણ સટાસટી, ભરૂચ નજીક વિજળી પડવાથી ત્રણના મોત

ગુજરાતમાં નવરાત્રી પુરી થવા છતા મેઘરાજા પીછો છોડતા નથી અને આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન વધુ 131 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. અમુક સ્થળે ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેતરોમાં પડેલા મગફળી સહીતના પાકના પાથરા તણાઇ ગયા હતા. તો ભરૂચના પાદરીયા ગામની સીમમાં વૃક્ષ ઉપર વીજળી પડતા નીચે ઉભેલા ત્રણ લોકોના મોત નિપજયા હતા. જયારે બે લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.


છેલ્લા 24 કલાકમાં સુરેન્દ્રનગરના દસાડા-જુનાગઢના વિસાવદર ઉપરાંત ડાંગ-આહવામાં 3 ઇંચ, વઢવાણ-ભુજ-ઉમરપાડા-બોડેલી- વઘઇ- ડેડીયાપાડામાં અઢીથી પોણા ત્રણ ઇંચ, તાલાલા-ગોંડલ- જગડીયા- મહુવા- કુતિયાણા- લોધિકા- લખતર- જાંબુઘોડામાં બેથી સવા બે ઇંચ વરસાદ પડયો છે. 24 કલાકમાં કુલ 36 તાલુકામાં એક ઇંચથી વધુ અને 15 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.


ગોંડલ
ગોંડલમાં સતત બીજે દિવસે ગાજવીજ સાથે દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.વરસાદ ને કારણે ઉમવાડા અંડરબ્રિજ તથા રાતાપુલ હેઠળ પાણી ભરાતા ટ્રાફિક ઠપ્પ થઈ જવા પામ્યો હતો.સહજાનંદ નગરમાં ખાલી પ્લોટ તથા નિલેશભાઈ આડતીયા નાં મકાન નાં ફળીયા માં વિજળી પડી હતી.જેને કારણે કોઈ જાનહાની નથી થઈ પણ સોસાયટીનાં મોટાભાગ નાં ઘરોમાં ફ્રીઝ, ટીવી.એસી. સહિત નાં ઉપકરણો બળી ગયા હતા.


પાંચીયાવદર, ખરેડા પટ્ટી માં ધોધમાર સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો તથા ખેતરો માં પાણી ભરાયા હતા.છેલ્લા બે દીવસ નાં ભારે કમોસમી વરસાદ ને કારણે ખેડુતો એ વાવેલા પાકને ભારે નુકસાન પંહોચ્યુ છે.કીશાન અગ્રણી કનકસિંહ જાડેજાએ જણાવ્યુ કે વરસાદ ને કારણે મગફળી,કપાસ, તલી અને ડુંગળી નાં વાવેતર બળી જતા નિષ્ફળ ગયા હોય ખેડુત ને રડવાનો સમય આવ્યો છે.રાજ્ય સરકારે કમોસમી વરસાદ ને કારણે પાક બળી ગયા હોય ખેડુતો ને નુકશાની આવી હોય તુરંત વળતર આપવુ જોઈએ. ખેડુત લક્ષી માત્ર વાતો કરતી સરકારે પાક વિમા ની રકમ પણ હજુ ચુકવી નથી.ત્યાં વરસાદ ને કારણે ખેડુત પર નવો બોજ આવ્યો છે.તેમણે રાજ્ય સરકારની તિવ્ર આલોચના કરી છે.


મોટી પાનેલી
ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તેમજ આજુબાજુ ના ગામો મૉં સતત બીજે દિવસે પણ કમોસમી વરસાદ આવતા ખેડૂતો ની માઠી દશા બેઠી હોય એવી પોઝિશન ઉભી થયેલ છે ગઈકાલે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો આજે પણ સાંજે સાત વાગે જોરદાર વીજળીના ગડગડાટ વચ્ચે વરસાદ આવી પડતા સતત દોઢ કલાક થી ચાલુ છે જે બે ઇંચ કરતા વધુ પડેલ છે. ખેડૂતો ના કપાસ મગફળી તુવેર સોયાબીન જેવા મોલ સાથે નીરણ પણ ફેલ ગયેલ હોય કામોસમી વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા છે ખેડૂતોના મોઢે આવેલો કોરિયો છીનવાય ગયેલ છે જગતના તાત ની આવી કફોડી હાલત થી વિસ્તારમાં ખેડૂતો વિલે મોઢે નુકશાની સહન કરી રહ્યા છે આવી પરિસ્થિતિ મૉં ખેડૂતો કોને પોતાની માઠીદશા જણાવે?? એ પણ પ્રશ્ન ઉઠેલો છે.


કોટડાસાંગાણીમાં એક ઈંચ
કોટડાસાંગાણી પંથક માં એકાએક બપોરના સમયે વાતાવરણમાં પલટો આવતા બપોરના 4 વાગ્યે ના સમય માં વરસાદી માહોલ થયેલ એક કલાક માં એક ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો અને છેલ્લા 24 કલાક મા બે ઈંચ જેટલો વરસાદ પડેલ છે કમોસમી વરસાદ વરસ્યો ખેડૂતોને મુશ્કેલી મુકાયા મગફળી અને કપાસ સોયાબીન અને મરચાં ડુંગળી જેવા વાવેતર મા ભારે નુકસાની નો સામનો કરવો પડી રહ્યો છે જે ખેડૂતોને પોતાની વાડીમાં મગફળી કાઢી ને વાડીમાં મગફળીના પાથરા કરીને રાખેલ હોય છે અને મગફળી હલરમા કાઢવાની હોય છે તે મગફળી ખેતરોમાં તરકામા સુકાંવામા રાખેલ હોય છે તે મગફળી ઉપર કમોસમી વરસાદ પડવાથી મગફળીના પાથરા વરસાદથી પલરીગયેલ જે ખેડૂતોને કમોસમી વરસાદથી ભારે મુશ્કેલીનો સામનો વહેઠવો પડેલ અને કપાસ મગફળી સોયાબીન અને પાકોમાં કમોસમી વરસાદ પડવાથી પાકોમાં નુકસાની ભીતિ સેવાઈ રહી છે.


કાલાવડ
કાલાવડ તાલુકાના નવાગામ, ધુન ધોરાજી, મોટી વાવડી, માછરડા, જામવાળી સહીતના ગ્રામ્ય પંથકમાં રવિવાર સાંજે વરસાદનું આગમન થયું. વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો. વરસાદ પડતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો. વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાયા. વરસાદ પડતા ખેડુતોનો તૈયાર થયેલ પાક ધોવાઇ જવાની ભીતી. મગફળી, કપાસ, ડુંગળી, સોયાબીન, તલના પાકમાં નુકસાન થવાની ચિંતામાં વધારો. ખેડૂતોના મોઢામાં આવેલ કોળીયો ઝુંટવાઇ જતા ખેડૂતોના હાલ બેહાલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version