ક્રાઇમ

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

Published

on


રાજકોટના ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળા ફરીવાર ચર્ચામાં આવ્યાં છે અને આ વખતે ઘરમાં જ ડખ્ખો થયાનું સામે આવ્યું છે. ગઈ મોડી રાતે પદ્મિનીબા વાળા અને તેના પુત્રએ તેમના પતિ ગિરિરાજસિંહ વાળા પર પાઈપથી હિંચકારો હુમલો કર્યો હતો.


બનાવમાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલ ગિરિરાજસિંહને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે પોલીસે મૌન ધારણ કરી લીધું હતું અને મામલે થાળે પડી ગયાની વાતનું રટણ કર્યું હતું. પદ્મીનીબા અને તેના પતિ વચ્ચે થયેલા ઝઘડાનો વિડીયો સોશીયલ મિડીયા પર વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ શહેરમાં રેલનગરમાં આવેલ રામેશ્વર પાર્ક-5 માં રહેતાં ગિરિરાજસિંહ અનિરૂૂદ્ધસિંહ વાળા (ઉ.વ.47) ગઈ રાતે પોતાના ઘરે હતાં ત્યારે રાત્રે એકાદ વાગ્યાની આસપાસ તેમના પત્ની અને ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબ વાળા તેમજ પુત્ર સત્યજીતસિંહ પાઈપ સાથે ઘસી આવ્યાં હતા અને કોઈ કારણોસર ઝઘડો કરી ગિરિરાજસિંહ પર પાઈપથી હુમલો કરી માર માર્યો હતો.


બનાવમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્ર. નગર પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી ગયો હતો અને ઈજાગ્રસ્તનું નિવેદન નોંધ્યું હતું.


જો કે, પોલીસે બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ જતાં મામલો થાળે પડ્યો હોવાની વાત કરી હતી. તેમજ ઈજાગ્રસ્ત ગીરીરાજસિંહ પણ મોડી રાતે ટૂંકી સારવાર લઈ હોસ્પિટલમાંથી રજા લઈ નીકળી ગયાં હતાં. પદ્મીનીબા અને તેના પતિ વચ્ચે થયેલા ઝઘડાનો વિડીયો સોશીયલ મિડીયા પર વાયરલ થતા ચકચાર મચી જવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે, ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા ગત લોકસભા ચૂંટણીથી લાઈમ લાઈટમાં આવેલ છે અને ચૂંટણી દરમિયાન મોટું આંદોલન પણ ચલાવ્યું હતું. જ્યારે બંને પતિ-પત્ની વચ્ચે અણબનાવ પણ ચાલતો હોવાની ચર્ચા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version