ભારતમાં એકતરફ IPL 2026નો રોમાંચ ચરમસીમા પર છે. જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સની ટીમ સૌથી શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. પરંતુ બીજીતરફ આંધ્રપ્રદેશથી એક અમ્પાયરની હત્યાનો મામલો સામે આવ્યો છે. આ મામલો વિશાથાપટ્ટનમનો છે. જ્યાં લોકલ લેવલ પર ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. આ મેચ દરમિયાન રન આઉટના નિર્ણય પર વિવાદ થયો હતો અને 21 વર્ષીય અમ્પાયરની છરી મારીને હત્યા કરી દેવામાં આવી છે. રવિવારે એક ક્રિકેટ મેચ રમાઈ રહી હતી. જેમાં 21 વર્ષીય ડોલા અજીત બાબૂ તેમના એક મિત્ર બુડૂમુરી ચિરંજીવી સાથે અમ્પારિંગ કરી રહ્યો હતો. ત્યારે એક રન આઉટના નિર્ણય પર ખેલાડીઓ વચ્ચે ભારે વિવાદ સર્જાયો હતો.મેચ પુરી થયા બાદ 26 વર્ષીય કાંતા કિશોરે મામલો ઉકેલવા માટે અમ્પાયરોને બીજા સ્થળે બોલાવ્યા હતા.
વાતચીત અનુસાર અજીત બાબૂ અને ચિરંજીવી તેમના કેટલાક મિત્રો સાથે તે સ્થળે ગયા હતા. પરંતુ ત્યાં ફરી એક નવો ઝઘડો શરૂૂ થઈ ગયો. ત્યારબાદ કાંતા કિશોરે છરી કાઢી અને બન્ને અમ્પાયરો પર હુમલો કર્યો. અજિત બાબુને છાતીમાં છરી મારવામાં આવી હતી. તે સ્થળ પર જ જમીન પર ઢળી પડ્યો. આ દરમિયાન પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતી વખતે ચિરંજીવીને પણ ઘણું લોહી વહી ગયું હતું. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની હાલત ગંભીર હોવાથી અજિત એપોલો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

