ગુજરાત
ઈંગોરાળામાં લૂંટ કરી વૃદ્ધાની હત્યા કરનાર બે શખ્સ ઝડપાયા
ખાંભા પોલીસે ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા બેને પકડ્યા
ખાંભાના ઈંગોરાળામાં 75 વર્ષિય વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરનાર ગામના જ બે શખ્સને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે ફીંગરપ્રિન્ટના આધારે ગુનાનો ભેદ ઉકલ્યો હતો. બંને આરોપીને ઝડપી કાર્યવાહી કરી હતી. એક સપ્તાહ પુર્વે ઈંગોરાળા ગામે ખોડિયાર મંદિરની બાજુમાં રહેતા 75 વર્ષિય સોનાબેન કાનાભાઈ ગુજરીયાની હત્યા કરી અજાણ્યા શખ્સોએ 1.40 લાખની કિંમતના સોનાના દાગીનાની લૂંટ કરી હતી.
આ અંગે ખાંભા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. અમરેલી જિલ્લા પોલીસવડા હિંમકરસિંહની સૂચનાથી ડીવાયએસપી એચ.જી.ગોહિલ, સર્કલ પીઆઈ કે.વી.ચુડાસમાં અને ખાંભા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.જી.ચૌહાણના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસે ટેકનીકલ હ્યુમન સોર્સ અને ફીગરપ્રિન્ટ એક્સપર્ટ એચ.એ.વ્યાસે આરોપીઓના ફીંગરપ્રિન્ટ શોધી કાઢ્યા હતા. ખાંભા પોલીસે વૃદ્ધાની હત્યા કરી લૂંટ કરનાર ગામના જ ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા હિંમત લાભુભાઈ પરમાર અને રવિ અશ્વીનભાઈ પરમારને ઝડપી લીધા હતા. પોલીસે બંને સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ ફીંગરપ્રિન્ટના આધારે આરોપી સુધી પહોંચી: હત્યા કરનાર બંને ગામના જ નીકળ્યા.