ગુજરાત

સીંગતેલ ઉદ્યોગમાં ઉત્પાદન ક્ષેત્રે કયાંય ભેળસેળ થતી નથી: સમીર શાહ

Published

on


ગુજરાત રાજય ખાદ્યતેલ તેલીબીયા સંગઠનનો પ્રથમ સામાન્ય સભા એડીએમસી ગોંડલના હોલમાં મળી હતી. તેમાં ઓઇલ મીલર્સ, એચપીએસ શીંગદાણા ઉત્પાદકો, વેપારીઓ, દલાલો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


એપીએમસી ગોંડલના ચેરમેન અલ્પેશ ઢોલરીયા, મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ તથા વિસાવદર યાર્ડના ચેરમેન વિનુભાઇ હાપાણી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.સ્વાગત પ્રવચન સંંસ્થાના ટ્રેઝરર ભરતભાઇ ખાનપરાએ આવેલ. ત્યારબાદ સંસ્થાના પ્રમુખ સમીરભાઇ શાહે ખાદ્યતેલના ઉદ્યોગમાં પ્રવર્તતી સમસ્યા અને સંભવિત ઉપાયો અંગે વિસ્તૃત છણાવટ કરી હતી.


સમીરભાઇ તાજેતરમાં પુર્વમંત્રી નીતિનભાઇ પટેલના ઉચ્ચારણ વિશે તેમજ અમુક મિડીયા દ્વારા કરાયેલ નકારાત્મક રીપોર્ટીંગનો કડક શબ્દમાં વિરોધ કર્યો હતો અને ખુબ જ મક્કમતાથી જણાવ્યું હતું કે સીંગતેલ ઉદ્યોગમાં ઉત્પાદન ક્ષેત્રે કયાંય ભેળસેળ થતો નથી અને ઓઇલ મીલર્સ પ્રત્યે જે પ્રકારનું વલણ દાખવવામાં આવે છે તે અયોગ્ય છે તેમ જણાવ્યું હતું.


ગોંડલ એપીએમસીના ચેરમેન અલ્પેશભાઇ ઢોલરીયાએ પણ મગફળી અને સીંગતેલમાં રહેલ પોષક દ્રવ્યોની વાતનું સમર્થન કર્યું હતું અને એપીએમસીમાં મગફળીની ખરીદી મોટા પ્રમાણમાં થાય તે માટે જરૂરી તપાસ સુવિધા પુરી પાડવાની બાંહેધરી આપી હતી.


વિસાવદર એપીએમસીના ચેરમેન વિનુભાઇ હાપાણીએ સંગઠન શક્તિ મજબુત બનાવી ઇન્ડસ્ટ્રીઝના પ્રશ્ર્ને જાગૃત અને સતર્ક રહે તેવા નેતાને સંપુર્ણ સમર્થન આપવા અનુરોધ કર્યો હતો.મહુવા એપીએમસીના ચેરમેન ઘનશ્યામભાઇએ મગફળી અને ડુંગળી પકવતા ખેડુતોને પડતી મુશ્કેલીઓ વિશે છણાવટ કરી હતી.


આ પછી સંસ્થાના પ્રમુખ સમીરભાઇ શાહે ચાલુ વર્ષના મગફળીનાપાકનો અંદાજ રજુ કર્યો હતો. તે અંદાજ મુજબ ચાલુ વર્ષે સમગ્ર રાજયમાં 40.56 લાખ ટન મગફળીનો પાક ઉતરવાનો અંદાજ મુકાયો હતો. આ સમારંભમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ પી. વિશ્ર્વાસ ઉપસ્થિત રહ્યા હતા ને ઉદબોધન કરેલુ. સંસ્થાના ઉપપ્રમુખ અશોકભાઇ પરવાડીયાએ આભારદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અજયભાઇ જાનીએ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version